અમદાવાદના લીલાપુરને આનંદીબેન બનાવશે ‘આદર્શ ગ્રામ’
અમદાવાદ, 24 નવેમ્બરઃ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યમાં ધારાસભ્ય આદર્શ ગ્રામ યોજનાની પ્રથમ શરૂઆત પોતે જાતે અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના લીલાપૂર ગામને દત્તક લઇને કરી છે. આનંદીબેને લીલાપૂરમાં એક સાદગી પૂર્ણ સમારોહ આ ગામને દત્તક લેવા હેતુ યોજ્યો હતો.
મુખ્યમંત્રીએ વડાપ્રધાનના સાંસદ આદર્શ ગ્રામના અભિગમને ગુજરાતના સૌ ધારાસભ્યો એક એક ગામ વિકાસ માટે દત્તક લઇને સાકાર કરશે તેની ગૌરવપૂર્ણ જાહેરાત કરતાં ગુજરાત આ અભિગમમાં અગ્રેસર બનશે તેવી નેમ દર્શાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત ૧૫મી ઓગષ્ટે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સંસદ સભ્યોને એક-એક ગામ વિકાસ માટે દત્તક લેવા કરેલી જાહેરાતનો પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીએ ગુજરાતના સૌ ધારાસભ્યોને પણ પોતાના ક્ષેત્રના એક - એક ગામ આદર્શ ગ્રામ બનાવવા દત્તક લેવા અપીલ કરી હતી.
આનંદીબેને ગામના વિકાસ માટે સમયાનુકૂલ સુવિધાઓ મળતી રહે તથા લોક જરૂરિયાતના કામો જનસહયોગથી હાથ ધરાય તે માટે અધિકારીઓ, અમલીકરણ તંત્રવાહકો, ગ્રામજનો, અગ્રણીઓ સાથે બેઠકો યોજીને વિકાસ કામોની કાર્ય યોજના ધડશે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. ભૌતિક સુવિધા સાથે આ નવા કામો વિકાસને પ્રેરિત કરશે. મુખ્યમંત્રીએ ગામના કચરા તથા ગોબરમાંથી ગેસ-વર્મીકંપોઝ વગેરે તૈયાર કરીને ગામમાં જ તેનો ઉપયોગ થાય તે માટે, ગ્રામજનો દિકરીના જન્મની ઉજવણી પાંચ વૃક્ષ વાવીને ઉછેર કરે, તેવી પણ અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ ગામના વિકાસકાર્યોમાં જનભાગીદારી જોડવાનો નવો વિચાર આપતા કહ્યું કે, પ્રત્યેક ગ્રામજન સ્વેચ્છાએ એક-એક કામ ઉપાડી લે અને તેને પૂર્ણ કરવા સુધીની જવાબદારી નિભાવે ત્યારેજ આદર્શ ગ્રામનું સપનું સૂપેરે પાર પાડી શકાય.
આનંદીબેને વિકાસની પરિભાષા નળ-ગટર-રસ્તા-વીજળી પૂરતી સીમિત ન રાખતાં સર્વાંગી વિકાસ માટેની યોજનાઓને પણ સ્થાનિક જરૂરિયાત અનુસાર અપનાવવાની આવશ્યક્તા વર્ણવી હતી.તેમણે આ સંદર્ભમાં ગામમાં ઘરે-ઘરે શૌચાલય, પ્રાથમિક શિક્ષણની આદર્શ સુવિધા, આરોગ્ય સેવાઓ સહિતની સુવિધાઓ આદર્શ ગ્રામ તહેત હાથ ધરવાનું માર્ગદર્શન કર્યું હતું.
મુખ્યમંત્રીએ ગ્રામીણ બહેનો-માતાઓને ખૂલ્લામાં શૌચ ક્રિયાએ જવું પડે તેવી દયનીય હાલતમાંથી મૂક્તિ અપાવવા રાજ્યમાં ઘર શૌચાલય અભિયાન વ્યાપક બનાવી આગામી બે વર્ષમાં દરેક ઘરને શૌચાલય સવલત આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે વ્યસન કુરિવાજોની બદીથી દૂર રહી આદર્શ ગ્રામની સંકલ્પના સાકાર કરી એક નવો વિચાર અન્ય ગામોને પણ આદર્શ ગ્રામ બનવા પ્રેરણા આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ આદર્શ ગ્રામ નિર્માણ રાજ્યની ગતિશીલ વિકાસયાત્રાને વધુ ગતિ અને જનભાગીદારી પ્રેરિત કરનારું બની રહેશે તેવી અપેક્ષા પણ દર્શાવી હતી. તેમણે ગ્રામજનોને સ્વચ્છતાના સામૂહિક શપથ લેવડાવ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે લીલાપૂર ગામના પૂર્વ સરપંચે આગામી દિવસમોમાં લીલાપૂર ગામ કઇ રીતે આદર્શ ગ્રામ બનશે તેની વિગતવાર રૂપરેખા આપી હતી. ગામમાં હાલની સુવિધાનો તેમને ચિતાર આપ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાનની આદર્શ ગ્રામ યોજનાની માર્ગદર્શિકાઓની વિગતવાર માહિતી પ્રેઝેન્ટેશન દ્વારા રજૂ કરાઇ હતી. આદર્શ ગ્રામ માટે માત્ર ભૌતિક જ નહીં પણ સર્વાંગી વિકાસની જરૂરિયાત પર ભાર મૂકાયો છે. આદર્શ ગ્રામ અંતર્ગત અંત્યોદયનો વિકાસ, માત્ર વીજળીનો જ નહીં પણ સંસ્કાર સાથેના શિક્ષણ દ્વારા ગામમાં પ્રકાશ ફેલાય, ગામમાં સ્વસહાયની ભાવના બળવત્તર બને, ગ્રામજનોના જીવન ધોરણમાં સુધારો થાય, ગામમાં સ્વચ્છતાનું વાતાવરણ સર્જાય, આદર્શ ગ્રામ માટે આ ગામ અન્યો માટે પ્રેરણાસ્ત્રોત બને, સ્વચ્છતાની સંસ્કૃતિને વિકસાવાય વગેરે બાબતોનો સમાવેશ કરાયો છે.