CM આનંદીબેને ગુજરાતમાં સ્વાસ્થ્ય સુવિધાઓ સંબંધિત સ્વચ્છતા અભિયાનનો આરંભ કરાવ્યો
અમદાવાદ, 6 ડિસેમ્બર : ગુજરાતના મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સામાન્ય માનવી સહિત સમાજ સમસ્તના આરોગ્યની ચિંતા કરવાનો સમય હવે પાકી ગયો છે ત્યારે સ્વચ્છતા-સફાઇને સહજ સ્વભાવ બનાવી રોગ થાય જ નહિં-માંદગી ઉદ્દભવે જ નહિં તેવું સ્વાસ્થ્ય રક્ષાનું જનજાગૃતિ આંદોલન સ્વચ્છતા ઝૂંબેશ દ્વારા ઉપાડવાનું આહવાન કર્યું છે.
મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત આરોગ્ય ધામોની સ્વચ્છતા-સફાઇનો રાજ્યવ્યાપી પ્રારંભ અમદાવાદ સિવીલ હોસ્પિટલથી આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલ, રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા સાંસદો, ધારાસભ્યો, અગ્રણી તબીબોની ઉપસ્થિતીમાં કરાવ્યો હતો.
આનંદીબહેને યુ.એન.મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના રૂ. 170 કરોડના ખર્ચે નિર્માણ થનારા નવા પીડીયાટ્રીક કાર્ડીયોલોજી ભવનની ભૂમિપૂજન વિધિ તથા સિવીલ હોસ્પિટલમાં રૂ. 95 લાખના ખર્ચે વસાવવામાં આવેલા નવાં અદ્યતન ઇલેકટ્રોન માઇક્રોસ્કોપનું લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ સિવીલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દરદીઓની વોર્ડમાં જઇ મૂલાકાત લીધી હતી અને હોસ્પિટલની સ્વચ્છતા-સફાઇનું પ્રત્યક્ષ નિરીક્ષણ પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આરોગ્ય સુખાકારી અને આરોગ્ય રક્ષાના ક્ષેત્રે રાજ્ય સરકારે માતબર નાણાંકીય જોગવાઇઓ સુનિશ્ચિત કરી છે અને નાણાં આયોજનના અભાવે પ્રજાજનો-નાગરિકોને આરોગ્ય સમસ્યા-સ્વચ્છતા-સફાઇ અંગે પરેશાની ભોગવવી ન પડે તેવું બહુઆયામી આરોગ્ય રક્ષા નેટવર્ક રાજ્યના આરોગ્ય વિભાગે સુગ્રથિત કર્યું છે.
આનંદીબહેને સ્વચ્છતાથી સ્વસ્થતા માટે, ગંદકી દૂર કરવાનો નાગરિક ભાવ ગલી-મહોલ્લા-શેરી-નગરોમાં જન-જનમાં જાગે તેવા વાતાવરણની પહેલ ગુજરાતે શાળા-કોલેજોની સ્વચ્છતા, અદાલતો-સંકુલોની સફાઇ અને હવે આરોગ્ય ધામોની સંપૂર્ણ સ્વચ્છતાના જનઆંદોલનથી કરી છે તે વડાપ્રધાનની કલીન ઇન્ડીયા મૂવમેન્ટમાં ગુજરાતને અગ્રેસર બનાવશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ ગંદકીમાં માંદગી સમાયેલી છે તેની નૂકચેતીની કરતાં કહ્યું કે, ભારત અને ગુજરાતને ગંદકીમૂકત કરી સ્વસ્થતાથી સમૃધ્ધિ માટેની કલીન ઇન્ડીયા મૂવમેન્ટ એ મહાત્મા ગાંધીની 2019માં 150મી જન્મજ્યંતિ આવી રહી છે તે સંદર્ભમાં એક આદર્શ ભેટ બની રહેવાની છે.
તેમણે આરોગ્ય ધામોની સ્વચ્છતા-સફાઇથી સૌનું આરોગ્ય જળવાય અને રોગમુકત ગુજરાતનું નિર્માણ થાય તે માટે તબીબો, આરોગ્યકર્મીઓ, સેવા સંસ્થાઓ અને કર્મયોગીઓ સહિત સમાજ સમસ્તને આ જનઆંદોલનના સંવાહક બનવા આહવાન કર્યું હતું.
શ્રીમતી આનંદીબહેને ગુજરાતમાં અદ્યતન આરોગ્યલક્ષી સેવાઓ અંતરિયાળ ગ્રામીણ ક્ષેત્રો સુધી વિસ્તારવા તથા ઉત્તમ આરોગ્ય સુવિધા પ્રાપ્તિના કેન્દ્રમાં અદના માનવીની આરોગ્ય ચિંતા હોવી જોઇએ તેવો અનુરોધ પણ કર્યો હતો.
તેમણે રાજ્યમાં આરોગ્ય સેવાઓના વ્યાપ વિસ્તાર અને કિડની ટ્રાન્સપ્લાન્ટની આધુનિક સારવાર માટે કિડની યુનિર્વસિટી, માનવ અંગોના દાન-દેહદાન માટે ઓર્ગન ડોનેશન પોલિસી અને માંદગી-રોગ થાય જ નહિં તેવી આરોગ્ય સુરક્ષા-ટેવોને પ્રેરિત કરતી મેડિકલ હેલ્થ યુનિર્વસિટી સ્થાપવાની રાજ્ય સરકારની ભૂમિકા પણ સમજાવી હતી.
રાજ્યભરના 10 હજાર ઉપરાંત આરોગ્ય ધામોની નિયમીત સ્વછતા-સફાઇ થાય તેવી સુઆયોજિત વ્યવસ્થા માટે પણ તેમણે માર્ગદર્શન આપ્યું હતું.
આરોગ્યમંત્રી નીતિનભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધનમાં સર્વાંગી વિકાસની આધારશીલા સ્વછતા-સફાઇ અને આરોગ્ય સુખાકારી છે તેવો સ્પષ્ટ નિદેશ કરતાં આરોગ્ય ધામોની સફાઇનું આ રાજ્યવ્યાપી અભિયાન રોગ નિયંત્રણ સાથે જ સ્વસ્થ ગુજરાતનું દ્યોતક બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીએ આ રાજ્યવ્યાપી આરોગ્યધામ સફાઇ અભિયાન માટેની ગાઇડ લાઇન્સનું વિમોચન કર્યું હતું. તેમણે સૌને સ્વચ્છતા-અભિયાનમાં જોડાવાના નાગરિક કર્તવ્ય ધર્મના સામૂહિક શપથ લેવડાવ્યા હતા.