રાજકોટ માટે તા. ૨૯મી શુકનીયાળ સાબીત થઇ છે
રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજી ડેમ ખાતે નીરના વધામણાં કર્યા હતા. સાથે જ રાજકોટના હેકથલોનનું પણ ઉદ્ધાટન કર્યું હતું.
શનિવારે રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજી-૧ ડેમ ઓવરફલો થતાં નીરનાં વધામણાં કર્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ શહેરના આજી-૧ ડેમ ગત મોડીરાત્રે છલકાઇ જતાં તેમના વધામણાં કરવા એરપોર્ટ થી સીધા જ ડેમ પર પહોંચી ગયા હતા. અને નીરના વધામણા કર્યા બાદ આ પ્રસંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ગત ૨૯મી જુને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણા કર્યા હતા. ત્યારબાદ બરાબર એક મહીના પછી કુદરતની કૃપાથી આજ રોજ ૨૯મી જુલાઇના રોજ આજી ડેમ છલકાઇ જતાં નીરના વધામણાં કર્યા છે. વધુમાં ડેમ પણ ૨૯ ફુટની ઉંચાઇ ધરાવે છે. આમ ૨૯મી તારીખ રાજકોટ માટે શુકનિયાળ સાબીત થઇ છે.
વધુમાં ગુજરાતમાં ઠેર ઠેર થયેલી અતિવૃષ્ટિના અંગે બોલતા તેમણે જણાવ્યું કે હાલ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલ આપાતકાલીન પરીસ્થિતીમાં રાજયના વહીવટી તંત્ર અને એનડીઆરએફ તેમજ ભારતીય હવાઇ દળ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરેના સહયોગથી મહામુલી માનવ જીંદગી બચાવાઇ છે અને હાલ પરિસ્થિત સૂંપર્ણપણે કાબુમાં છે. ઉલ્લેખનીય છે કે તે બાદ વિજય રૂપાણીએ રાજકોટમાં હેકથલોનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.