જય ગરવી ગુજરાતઃ ગૌરવવંતા ગુજરાતના ઇતિહાસ પર એક દ્રષ્ટિપાત
બૃહદ મુંબઈ રાજ્યમાંથી પહેલી મે 1960ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. મુંબઈથી અલગ પડ્યા બાદની ગુજરાતની વિકાસગાથા અદ્ભુત રહી છે.
બૃહદ મુંબઈ રાજ્યમાંથી પહેલી મે 1960ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. મુંબઈથી અલગ પડ્યા બાદની ગુજરાતની વિકાસગાથા અદ્ભુત રહી છે. 57 વર્ષ પૂ્ર્ણ કરી 58મો સ્થાપના દિવસ મનાવી રહેલા ગુજરાતની ભવ્યતાને વાગોળીએ તો, ગુજરાત રાજ્ય દેશ વિદેશમાં અત્યારે પોતાનું આગવું સ્થાન ધરાવે છે. જન્મથી જ વ્યાપારી કૂનેહ ધરાવતા ગુજરાતીઓ વિશ્વના ખૂણે ખૂણે ઉભરી આવ્યા છે.
પહેલી મે 1960ના રોજ બૃહદ મુંબઈના ઉત્તરીય 17 પ્રોવિન્સમાંથી અલગ રાજ્ય તરીકે ગુજરાત અસ્તિત્વ આવ્યું. ગુજરાતનો સ્થાપના દિવસ મનાવાતો હોય ત્યારે, ઈન્દુલાલ યાજ્ઞિકનું ચોક્કસ સ્મરણ થાય જ. ઈન્દુચાચાના હુલામણા નામથી ઓળખાતા ઈન્દુલાલ યાજ્ઞિકની આગેવાનીમાં લડાયેલી મહાગુજરાતની ચળવળની લોહિયાળ લડતના પરિણામે ગુજરાતનું સર્જન થયું. સાડા છ કરોડ જેટલી વસ્તી ધરાવતું ગુજરાત આજે ભારતનું શિરમોર સ્ટેટ ગણાય છે.
ગુજરાતની સ્થાપના સમયે વિધાનસભાની 132 બેઠકો હતી. શરૂઆતમાં અમદાવાદ ગુજરાતનું પાટનગર હતું.. ડૉ. જીવરાજ મહેતા રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન બન્યા હતા. વર્ષ 1971માં રાજ્યના નવા પાટનગર ગાંધીનગર અસ્તિત્વમાં આવ્યું. શરૂઆતમાં ગુજરાતમાં સતત કૉંગ્રેસનું એકચક્રી શાશન રહ્યું હતું. જે, હવે ભાજપ એકચક્રી શાસન કરી રહ્યું છે.
આપદાઓમાં પણ રહ્યું અડીખમ ગુજરાત
ગુજરાતે અનેક કડવા અનુભવ પણ કર્યા છે. ખાસ કરીને 1969ના કોમી રમખાણ અને 1971માં રાષ્ટ્રપતિ શાસન તેમજ પાકિસ્તાન સાથેની યુદ્ધની પરિસ્થિતિ, આ ઉપરાંત 2002ના કોમી રમખાણોથી ગુજરાતની અસ્મિતાને કલંક પણ લાગ્યું. 2001ના કચ્છમાં ભૂકંપના કારણે મોટી જાનહાની સર્જાઈ હતી.. તેમજ મચ્છુ હોનારત જેવા કુદરતી પ્રકોપ વચ્ચે ગુજરાત અડીખમ રહ્યુ છે. 2002માં ગાંધીનગર અક્ષરધામ પર આતંકવાદી હુમલો અને ગોધરામાં સર્જાયેલો સાબરમતી ટ્રેન હત્યાકાંડ અને તેને પગલે થયેલા કોમી રમખાણો આજે પણ ગુજરાતની તસવીરને ધૂમિલ કરે છે.
ગુજરાતનો વિકાસ વેગવંતો જ રહ્યો
ગુજરાતના અનેક પડકારો અને કુદરતી આપદાઓ વચ્ચે પણ વિકાસ વેગવંતો જ રહ્યો છે. ગુજરાતે રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. વર્તમાન સમયમાં કેન્દ્રીય રાજનીતિમાં ગુજરાતની બોલબાલા છે. ગુજરાતે આજ સુધીમાં દેશને બે વડાપ્રધાન આપ્યા છે. હાલમાં, રાજ્યમાં 33 જિલ્લા અને 249 તાલુકા તેમજ 17 હજારથી વધુ ગામો અસ્તિત્વમાં છે. રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરો વિકાસની નવી ઉંચાઈ પર છે. ધંધા, રોજગાર માટે આ શહેરોમાં અવનવા માધ્યમો વિકસ્યા છે. વિદેશી રોકાણકારોને આકર્ષવામાં ગુજરાત અગ્રેસર રહ્યુ છે. તો, પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળ્યો છે. જેના કારણે, ગુજરાતની ઓળખ વૈશ્વિક સ્તરે પહોંચી છે.
ગુજરાતમાં રાજકીય બળવાખોરીનો ઇતિહાસ
ભાજપે 1995માં પહેલીવાર શાસન સંભાળ્યું. તત્કાલીન મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ સામે તેમના સાથી શંકરસિંહ વાઘેલાના વિદ્રોહના કારણે ખજૂરાહો કાંડ સર્જાયો. 1998માં ફરીથી કેશુભાઈના વડપણ હેઠળ ભાજપે સરકાર બનાવી. પરંતું, ફરીથી ઓકટોબર-2001માં કેશુભાઈને હટાવીને ભાજપ મોવડીમંડળે નરેન્દ્ર મોદીને ગુજરાતના સત્તાનું સુકાન સોપ્યું. આ પછી નરેન્દ્ર મોદી સતત ચાર ટર્મ સુધી જીતીને વિધાનસભામાં સરકાર ચલાવી અને ગુજરાતના વિકાસના મુદ્દાને આગળ કરીને દેશની સત્તા હાંસલ કરી હતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાં આનંદીબેન પટેલને સત્તા સોપી. પરંતું, ભાજપના આંતરિક અસંતોષના કારણે આનંદીબેને રાજીનામું આપ્યું અને વિજય રૂપાણી મુખ્યપ્રધાન પદે આરૂઢ થયા. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં ફરીથી એક વખત વિપક્ષમાં બળવો થયો. કૉંગ્રેસના 14થી વધુ ધારાસભ્યો શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં રાજ્યસભા ચૂંટણી પહેલાં બળવો કર્યો પરિણામે કૉંગ્રેસના 44 ધારાસભ્યોને બેંગ્લોર લઈ જવાની નોબત આવી.
સર્વાંગી પ્રજાલક્ષી કાર્યોથી વિકાસને નવી ઉંચાઈ મળી
કેન્દ્રની ગ્રાન્ટ અને રાજ્ય સરકારના અમલ દ્વારા વિવિધ પ્રજાકીય યોજનાઓ ચલાવી. નર્મદાના પાણી પહોંચાડવાની યોજના પણ તેના અંતિમ ચરણમાં પહોંચી ચુકી છે. રાજ્યમાં હરિયાળીક્રાંતિ પાછળ નર્મદાના પાણી છેવાડા સુધી પહોચ્યા છે. ગુજરાત પાણી અને વીજળીના મુદ્દે આત્મનિર્ભર જ નહી પરંતું, વીજ ઉત્પાદનની નિકાસ કરનારુ રાજ્ય છે. ઈન્ફ્રાસ્ટ્રકચરલ ડેવલપમેન્ટ માટે ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ સારું એવું આગળ છે. ગુજરાતે ઈકોનોમીક ડેવલપમેન્ટમાં અનેક રેકોર્ડ સ્થાપિત કર્યા છે અને ગમે એટલી ટીકા કરવા છતાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાં ગુજરાતે નંબર વનનું સ્થાન હાંસલ કરેલું છે તે હકીકત છે. વ્યાપારી સુઝબુઝ ધરાવતી પ્રજા તરીકે જાણીતા ગુજરાતીઓના ડીએનએમાં ઉદ્યોગ સાહસિકતા વણાયેલી છે તે પણ રાજ્યની પ્રગતિનું મુખ્ય એન્જિન છે. ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું અલંગ શિપબ્રેકિંગ યાર્ડ છે.
સેંકડો ઉદ્યોગ ધંધા ધમધમી રહ્યા
રીલાયન્સની જામનગર સ્થિત રીફાઈનરી દેશની ઈકોનોમીમાં મહત્વની બની ચૂકી છે. રાજ્યમાં ફર્ટીલાઈઝર, પેટ્રોકેમિકલ, ટેક્સટાઈલ, રીફાઈન્ડ ઓઈલ, કેમિકલ, સોડાએશ, સીમેન્ટ, ડેરી ઉદ્યોગ, જેમ્સ એન્ડ જ્વેલરી અને નેનો તાણી લાવ્યા પછી ગુજરાત ઓટોમોબાઈલ હબ જેવા સેંકડો ઉદ્યોગ ધંધા ધમધમી રહ્યા છે. રાજ્યને મળેલો સોળસો કિલોમીટર લાંબો દરિયાકાંઠાનો વિકાસ પણ ઘણી રીતે ઈકોનોમીને સહાય કરી રહ્યો છે.
ગુજરાત દેશના વિકાસમાં સ્ટીમ એન્જિનની માફક આજે દેશના વિકાસને નવી દિશા આપવાનું કાર્ય કરી રહ્યુ છે. ત્યારે, ગુજરાતની કલ્પના કરીને મહાગુજરાત આંદોલન છેડનારા તમામ ક્રાંતિવીરો અને સેનાનીઓને વંદન અને સર્વે ગુજરાતીઓને રાજ્યના 58માં સ્થાપના દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.