બેંગ્લુરૂમાં શક્તિસિંહ ગોહિલ: ગુજ. અમારા માટે સુરક્ષિત નથી
બેંગ્લુરૂ પહોંચલ કોંગ્રેસના ધારાસભ્યોની પત્રકાર પરિષદ, શક્તિસિંહ ગોહિલના ગંભીર આરોપ, કહ્યું ગુજરાત અમારા માટે સુરક્ષિત નથી
શુક્રવારે કોંગ્રસના 40 જેટલા ધારાસભ્યો કર્ણાટકના બેંગ્લુરૂ પાસેના એક રિસોર્ટમાં પહોંચ્યા હતા. ગુજરાતમાં એક તરફ જ્યાં પૂરને કારણે લોકો હેરાન થઇ રહ્યાં છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના આ પગલાં માટે તેમની નિંદા થઇ રહી હતી. એવામાં રવિવારે બપોરે બેંગ્લુરૂ ખાતે કોંગ્રેસના ધારાસભ્યોએ પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, અમે લોકતંત્રની રક્ષાની લડાઇ માટે અમારો જીવ હથેળીએ લઇને લડી રહ્યાં છીએ. ભાજપે કોંગ્રેસને તોડવા માટે સામ-દામ-દંડ-ભેદ તમામ રીતો અપનાવી છે.
નોંધનીય છે કે, કર્ણાટકમાં હાલ કોંગ્રેસની સરકાર છે. ડી.કે.શિવકુમાર અને ડી.કે.સુરેશને ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને સંભાળવાની જવાદારી આપવામાં આવી હતી, પરંતુ પત્રકાર પરિષદ દરમિયાન ડી.કે.શિવકુમારના સમર્થકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આથી મીડિયા સાથેની વાતચીત અટકાવી ધારાસભ્યોને તુરંત હોટલ લઇ જવાયા હતા. આ બદલ શક્તિસિંહ ગોહિલે મીડિયાની માફી માંગી હતી. ડી.કે.શિવકુમાર કર્ણાટક સરકારમાં ઊર્જા મંત્રી છે.
શક્તિસિંહ ગોહિલે આ પત્રકાર પરિષદમાં શું કહ્યું? વાંચો અહીં...
BJP કોંગ્રેસના 22 ધારાસભ્યોને ખરીદવા માંગતું હતું
'કોંગ્રેસની 25 જુલાઇની બેઠકમાં 53 ધારાસભ્યો હાજર રહ્યાં હતા. જીતવા માટે અમને 45 ધારાસભ્યોને જરૂર છે. ભાજપ કોંગ્રેસના 22 ધારાસભ્યોને ખરીદવા માંગતુ હતું, પરંતુ પોતાના આ હેતુમાં તેઓ સફળ નથી થયા. તેમણે ખરીદેલ 6 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું, પરંતુ ત્યાર બાદ 7 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા નથી. રાજીનામું આપ્યા બાદ 3 ધારાસભ્યો ભાજપમાં જોડાયા. આના પરથી ભાજપની નીતિ સ્પષ્ટ થાય છે.'
અહમેદ પટેલ રાજકારણ નથી રમી રહ્યાં
'આજે ગુજરાતમાં વરસાદ નથી. તા.24, 25, 26ના રોજ ગુજરાતમાં ભારે વરસાદ હતો, ત્યારે અહમેદ પટેલે તમામ ધારાસભ્યોને પોતાના વિસ્તારોમાં જઇ લોકોની મદદ કરવા જણાવ્યું હતું. તે સમયે કોંગ્રેસ ધારાસભ્યો ક્ષેત્રમાં હતા, પરંતુ ભાજપને ત્યારે પૂરગ્રસ્તોની ચિંતા નહોતી. તેઓ તો કોંગ્રેસને તોડવામાં વ્યસ્ત હતા. બનાસકાંઠાના એક જ પરિવારના 17 સભ્યોનું મૃત્યુ થયું ત્યારે કોંગ્રેસ એ જ દિવસે તેમની પાસે પહોંચ્યુ હતું. એ સમયે ભાજપનો કોઇ મંત્રી કે નેતા ત્યાં હાજર નહોતો.'
|
ગુજરાતમાં અમે સુરક્ષિત નથી
'કેન્દ્ર સહિત અનેક રાજ્યોમાં ભાજપની સરકાર છે. ગુજરાતમાં કે આજુ-બાજુ બધે ભાજપ છે અને ત્યાં કોંગ્રેસના ધારાસભ્યો સુરક્ષિત નથી. અહીં અમે સુરક્ષિત છીએ, માટે જ અહીં આવ્યા છીએ. ભાજપ તરફથી રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ તોડવા માટે ધારાસભ્યોને 15 કરોડની ઓફર થઇ હતી. 6 ધારાસભ્યો એમની વાતમાં આવી ગયા, જેઓ નથા આવ્યા તેમને ભાજપ ધમકાવી રહ્યું છે. લોકતંત્રની લડાઇમાં અમારી મદદ કરવા હું વિનંતી કરું છું.'
|
સત્ય સવાલોથી ડરતું નથી
'તમે અહીં બેઠેલ ધારાસભ્યોને ઇચ્છો તે પ્રશ્ન પૂછી શકો છો અને આ વાતોની ખાતરી કરી શકો છો. સત્ય સવાલોથી ડરતું નથી. જો આમાંથી એક પણ ધારાસભ્ય કહે કે, તેમને ડરાવવા ધમકાવવામાં નથી આવ્યા તો બેંગ્લુરૂમાં એક મિનિટ પણ વધુ રહેવાનો કોઇ અર્થ નથી. કોંગ્રેસને તોડવા માટેની આ ભાજપની બિલો ધ બેલ્ટ રાજનીતિ છે. આ ગુજરાત હવે મહાત્મા ગાંધીના સમયનું ગુજરાત નથી રહ્યું.'
BJPના રાજમાં હત્યારાને એસપી બનાવાય છે
'એક આઇપીએસ અધિકારી દ્વારા જ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ થયો હતો. ભાજપના રાજમાં એવા આઇપીએસ અધિકારી જેમની પર હત્યાનો આરોપ છે, તેમને નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટના બેઝ પર એસપીનું પદ અપાય છે. તેઓ અમને ડરાવી-ધમકાવી રહ્યાં છે. વિચારવા જેવી વાત એ પણ છે કે, જો કોઇ ધારાસભ્યોને કોંગ્રેસ પક્ષ સામે વાંધો હતો તો આટલા સમયથી કોઇ સામે કેમ ન આવ્યું? ચૂંટણી પહેલાં જ કેમ સામે આવ્યા? આ બધી ભાજપની યુક્તિઓ છે. આ વર્ષના અંતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ છે. ડરેલું ભાજપ કોંગ્રેસને તોડવા માટે આવી યુક્તિઓ અપનાવી રહ્યું છે.'
લોકતંત્રને સમર્થન આપો, તાનાશાહીને નહીં
આ સાથે જ શક્તિસિંહ ગોહિલે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર પણ ટ્વીટ કર્યાં હતા. જ્યારે એક ટ્વીટર યૂઝર દ્વારા એસપીના પદે બેઠેલ આઇપીએસ અધિકારીનું નામ પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપતાં લખ્યું હતું, એલ.કે.અમીન. તેમનું કહેવું છે કે, ગુજરાત એવી જગ્યા છે, જ્યાં હવે મીડિયા પણ ભાજપની વિરુદ્ધમાં કંઇ લખી-બોલી નથી શકતું.