ગુજરાતમાં 161 કેન્દ્રો પર આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે કોરોના વેક્સીન
ગુજરાત સહિત દેશભરમાં આજથી રસીકરણનુ અભિયાન શરૂ થઈ ગયુ છે.
ગુજરાત સહિત દેશભરમાં આજથી રસીકરણનુ અભિયાન શરૂ થઈ ગયુ છે. ગુજરાતના બધા સેન્ટરો પર રસીકરણની તૈયારીઓ પહેલા જ પૂરી કરી લેવામાં આવી હતી. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્લીથી દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. ગુજરાતમાં 6 રિજનલ ડેપો તૈયાર કર્યા છે. રાજ્યમાં 161 કેન્દ્રો પર આરોગ્યકર્મીઓને વેક્સીન આપવામાં આવશે અને દરેક સેન્ટર પર 100 લોકોને રસી આપવામાં આવશે.
રાજ્યમાં તબક્કાવાર રીતે કુલ 11 લાખ હેલ્થ વર્કરોને રસી મૂકવામાં આવશે જેના માટે 16000 આરોગ્યકર્મઈઓને તાલીમ આપવામાં આવી છે. શનિવારની સવારે 9 વાગે ગુજરાતમાં રસીકરણનુ મહાઅભિયાન શરૂ થઈ ગયુ. જેનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી કરાવ્યો. આ પ્રસંગે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી પણ જોડાયા હતા.
રસીકરણના પહેલા દિવસે દેશભરમાં 3 લાખ આરોગ્યકર્મીઓને રસી મૂકવામાં આવશે. ગુજરાતમાં રસીકરણની બધી તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. રસીકરણ માટે અમદાવાદમાં 23 કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જેમાં શહેરી ક્ષેત્રમાં 20 અને ગ્રામીણ વિસ્તારમાં 3 કેન્દ્ર શામેલ છે. જ્યારે રાજકોટમાં 6 કેન્દ્ર, સુરતમાં 22 કેન્દ્ર, વડોદરામાં 10 કેન્દ્ર, ગાંધીનગરમાં 9, ભાવનગરમાં 6 કેન્દ્ર, જામનગરમાં 5 કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં 68060 અને અમદાવાદ જિલ્લામાં 10360 વેક્સીનના ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. વળી, સુરત શહેરમાં 42640 અને જિલ્લામાં 12450, વડોદરા શહેરમાં 20650 અને જિલ્લામાં 13200, રાજકોટ શહેરમાં 18170 અને જિલ્લામાં 10000, ગાંધીનગર શહેરમાં 4720 અને જિલ્લામાં 1620, ભાવનગર શહેરમાં 9910 અને જિલ્લામાં 9450, જામનગર શહેરમાં 9700 અને જિલ્લામાં 6010, જૂનાગઢ શહેરમાં 4320 અને જિલ્લામાં 6800 ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે.
કોરોના વાયરસ રસીકરણ થયુ શરૂ, આમને આપવામાં આવ્યો પહેલો ડોઝ