7 વર્ષે રાહુલ બનશે કોંગ્રેસ પ્રમુખ, અમિત શાહે જણાવ્યું, કઇ રીતે?
અમિત શાહે ભરૂચના વાગરામાં સંબોધી રેલીરાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહારોઆ અંગે વધુ વાંચો અહીં...
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભરૂચના વાગરામાં રવિવારે જનસભાનું સંબોધન કર્યું હતું. તેમણે અહીં કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, 'કોઇ એક સરકાર પરિવાર બનાવવા માટેની ચૂંટણી નથી આ, 2017ની ચૂંટણી નરેન્દ્ર મોદીએ ચાલુ કરેલ વિકાસયાત્રા અવિરત ચાલુ રહે એ માટેની ચૂંટણી છે. કોંગ્રેસવાળા રોજ નવા કપડા પહેરીને નીકળી પડે છે. હું એમને પૂછું છું કે, તમારો ચૂંટણી લડવાનો મુદ્દો શું છે? જાતિવાદ, વંશવાદ? કોના નેતૃત્વમાં ચૂંટણી લડવા નીકળ્યા છો? ના નેતા છે, ના નીતિ છે, એક ટોળું ભેગું કરીને સરકાર બનાવવા નીકળ્યા છે. રાહુલ બાબા હમણાં ગુજરાતના આંટા બહુ મારે છે. ગુજરાતનો વિકાસ શું થયો એનો હિસાબ રાહુલજી નરેન્દ્ર મોદી પાસે માંગે છે. અમે ભાજપના કાર્યકર્તાઓ જનાદેશ લેવા જઇએ ત્યારે મિનિટે મિનિટનો હિસાબ લઇને જઇએ છીએ. તમારે જાણવું છે, ભાજપે શું કર્યું? પણ પહેલા હું એમની પાસે હિસાબ માંગી લઉં.'
'રાહુલજીએ વર્ષ ગુજરાત માટે શું કર્યું?'
તેમણે આગળ કહ્યું હતું કે, '10 વર્ષ સુધી દેશમાં સોનિયા-મનમોહનની સરકાર ચાલી, તો પહેલા રાહુલજી ગુજરાતની જનતાને એ જવાબ આપો કે આ 10 વર્ષમાં તમે ગુજરાત માટે શું કર્યું? 10 વર્ષ સુધી નર્મદા ડેમના દરવાજા બંધ કેમ ન થયા, એનો જવાબ કોંગ્રેસે આપવાનો છે. નરેન્દ્ર મોદી પીએમ બનતાની સાથે જ 13મા દિવસે નર્મદા ડેમની ઊંચાઇ વધારવાનું કામ પૂરું થયું. ગુજરાતના આવા ઘણા પ્રશ્નો નરેન્દ્રભાઇએ આ ત્રણ વર્ષમાં ઉકેલ્યા. કોંગ્રેસની સરકારમાં 13મા નાણાંપંચમાં ગુજરાતને બજેટમાં 63, 343 કરોડ મળતા હતા. પીએમ મોદી આવ્યા બાદ એમાં વધારો કરી 1,58,377 કરોડ કરવામાં આવ્યા. એમની સરકારમાં ઓઇલ અને ગેસની રોયલ્ટીના પૈસા નહોતા આવ્યા, પીએમ મોદીએ 8 જ મહિનામાં 8000 કરોડ રૂપિયા દર વર્ષે આવતા થયા.'
'70 વર્ષ, અમેઠીમાં કલેક્ટરની ઓફિસ નહીં'
'રાહુલજી તમે અમારી પાસે હિસાબ માંગો છો? મોદી સરકારના ત્રણ વર્ષમાં ગુજરાતને બુલેટ ટ્રેનની ભેટ મળી, ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું, રો-રો ફેરી સેવા શરૂ થઇ અને 2500 કિમી હાઇવેનું નિર્માણ થયું. ગુજરાતને કરફ્યૂ મુક્ત કરવાનું કામ ભાજપે કર્યું છે. દલિત, આદિવાસી કે બક્ષીપંચ, સૌનો વિકાસ કરવાનું કામ ભાજપે કર્યું છે. રાહુલજી અહીંનો હિસાબ માંગે છે, અમેઠીમાં 1952થી અમેઠીમાં એમના પરિવારનું કોઇ ને કોઇ ચૂંટાય છે. ત્યાં કલેક્ટરની ઓફિસ બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. જે વ્યક્તિ પોતાના મતવિસ્તારમાં 70 વર્ષથી કલેક્ટરની ઓફિસ નથી બનાવી શક્યો, એ અહીં આવીને ગુજરાતના વિકાસનો હિસાબ માંગે છે. આ ગુજરાતીઓને મંજૂર છે? રાહુલજી ગુજરાતમાં બેકારીની વાતો કરે છે, એમના અમેઠીમાંથી 13,072 લોકો રોજગાર માટે ગુજરાતમાં આવીને રહ્યા છે.'
'7 વર્ષે રાહુલજીની તાજપોશી!'
'રાહુલભાઇની તાજપોશી થવાની છે, રાહુલભાઇને કોંગ્રેસના પ્રમુખ બનાવવાના છે. 2010થી સોનિયા ગાંધી રાહુલભાઇને કોંગ્રેસના પ્રમુખ બનાવવાનો પ્રયત્ન કરે છે. વર્ષ 2011માં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ચૂંટણી આવી, કોંગ્રેસ હારી ગઇ એટલે ના બનાવ્યા. 2012માં ગુજરાતની ચૂંટણી આવી ગઇ એટલે ના બનાવી શક્યા. એ પછી 2014ની ચૂંટણીમાં તો સૂપડા સાફ થઇ ગયા. 400 બેઠકો હતી એ 40 થઇ ગઇ, એટલે પછી ક્યાંથી બનાવે? એ પછી મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, કાશ્મીર, આસામ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુરની ચૂંટણી હારી ગયા, હવે પ્રમુખ કઇ રીતે બનાવવા? આટલો મોટો પ્રશ્ન આખરે એમણે ઉકેલ્યો. ગુજરાતનું મતદાન થાય એ પહેલાં પ્રમુખ બનાવે એટલે કાઉન્ટિગની જરૂરિયાત જ નહીં. 7 વર્ષથી જેને પ્રમુખ કઇ રીતે બનાવવા એ પ્રશ્ન થતો હોય, એ માણસ વિકાસ અંગે આવીને પ્રશ્ન કરે ત્યારે ખરેખર આશ્ચર્ય થાય!'
વંશવાદ કે વિકાસવાદ?
'આ ચૂંટણીમાં જનતાએ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પસંદગી નથી કરવાની, વંશવાદ અને વિકાસવાદ વચ્ચે પસંદગી કરવાની છે. પી.ચિમ્બરમે પત્ર લખ્યો, આઝાદીના નારા કાશ્મીરમાં બોલાય તો એમાં કંઇ ખોટું નથી. ક્યારેક તમારા નેતાઓ કાશ્મીરની આઝાદીનું સમર્થન કરે, ક્યારેક રોહિંગ્યાની ઘુસણખોરીનું સમર્થન કરે, એવા રાહુલ ગાંધીની દેશની સુરક્ષા અંગે શું વિચારાધારા છે એ હું પૂછવા માંગુ છું. કોંગ્રેસ વિરોધ પક્ષમાં પણ આવે એવી શક્યતા નથી, આમ છતાં હું રાહુલ ગાંધીને વારંવાર પૂછું છું કે, જો કદાચ સરકાર બને તો મુખ્યમંત્રી કોણ? એનો એ જવાબ જ નથી આપતા, કેમ કે એમને પણ ખબર છે કે, એવો વારો જ નથી આવવાનો! જે પક્ષ પોતાનો નેતા નક્કી ન કરી શકે, ગુજરાતને જાતિવાદના કરફ્યૂમાં ઝોંકવા માંગતી હોય, એ પક્ષ સાથે શાણો ગુજરાતી ના રહે.'