...તો આ કારણે ચૂંટણી નહીં લડે ભરતસિંહ સોલંકી!
ભરતસિંહ સોલંકીએ જણાવ્યું, ચૂંટણી ન લડવાનું સાચું કારણખબર આવ્યા હતા કે, હાઇકમાન્ડથી નારાજ છે ભરતસિંહ સોલંકીઆ અંગે વધુ વાંચો અહીં...
વિધાનસભાની ચૂંટણી નજીક છે અને ઉમેદવારી નોંધાવવા આડે માત્ર 2 દિવસો બચ્યા છે, ત્યારે કોંગ્રેસ તરફથી હજુ પણ ઉમેદવારોની યાદી જાહેર થઇ નથી. એવામાં ખબર આવ્યા હતા કે, કોંગ્રેસ હાઇકમાન્ડથી નારાજ હોવાને કારણે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ચૂંટણી નહીં લડે. આ બાબતે ભરતસિંહ સોલંકીએ સ્પષ્ટતા કરી હતી કે, હું કોંગ્રેસથી નારાજ નથી. હું કોંગ્રેસનો સૈનિક છું. ચૂંટણી નહીં લડવા બાબતે હું એ જ કહીશ જે મેં ત્રણ મહિના પહેલા કહ્યું હતું. કોંગ્રેસના 182 ઉમેદવારોને જીતાડવા માટે હું 2007માં ચૂંટણી નહોતો લડ્યો અને એ જ કારણસર આ વખતે પણ નહીં લડું. પાસ સાથે બેઠકના મુદ્દે તેમણે કહ્યું હતું કે, તેમની સાથે વાતચીત ચાલી રહી છે અને કન્વીનરોને સીટ સમાજના હિત માટે આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવા માટે શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડની બેઠક મળી હતી અને તેમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ હાજરી આપી હતી, જેમાં ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોતનો પણ સમાવેશ થાય છે. આ બેઠક બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી શુક્રવારે રાત્રે અમદાવાદ પરત ફર્યા ત્યારે તેઓ કોંગ્રેસથી નારાજ હોવાની વાતો વહેતી થઇ હતી. દિલ્હીથી પરત ફર્યા બાદ તેઓ અમદાવાદમાં રહેવાની જગ્યાએ સીધા બોરસદ જતા રહ્યા હતા. વળી, શુક્રવારના રોજ જ પાસ કોર કમિટિના સભ્યો પણ અનામત મુદ્દે આખરી નિર્ણય લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા. પરંતુ કોંગ્રેસ તરફથી સમય ન અપાતા અને ભરતસિંહ સોલંકી અચાનક અમદાવાદ પરત ફરતા તેઓ પણ નારાજ થયા હતા.