'ખરીદ-વેચાણ બંધ કરી CM ઉમેદવારો જાહેર કરે BJP-કોંગ્રેસ'
શંકરસિંહ વાઘેલાના નેતૃત્વ સાથે જન વિકલ્પ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉતરશે. જન વિકલ્પના પ્રવક્તા પાર્થેસ પટેલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યા પ્રહારો.આ અંગે વધુ વાંચો અહીં...
શંકરસિંહ વાઘેલાના નેતૃત્વ હેઠળ જન વિકલ્પ મોરચા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ઉતરશે. લાભ પાંચમના શુભ દિવસે જ તેમણે પોતાનું પાર્ટી ચિહ્ન ટ્રેક્ટર રજૂ કર્યું હતું. આ પાર્ટીના પ્રવક્તા પાર્થેશ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ લોકશાહીને કલંકિત કરતા ખરીદ-વેચાણના તમાશા બંધ કરી પોતાની પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારોના નામ જાહેર કરે. અને ગુજરાતની જનતા સામે સ્પષ્ટ કરે કે, આ ઉમેદવારો દિલ્હીના હાઇ કમાન્ડના હાથની કઠપૂતળી નહીં હોય.
ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે, આ બંને પક્ષો પીએમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના સહારે ચૂંટણી જીતવા નીકળી છે. તેમનામાં જો હિંમત હોય તો આ પક્ષો જનતા સમક્ષ સ્પષ્ટ કરે કે તેઓ ભવિષ્યમાં કોને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. સત્તા મેળવવાની હરીફાઇમાં જીતવા માટે તેમણે જે ચૂંટણી લક્ષી હોર્સ ટ્રેડિંગ શરૂ કર્યું છે, તે દેશની લોકશાહી અને ગુજરાતની સમાજ વ્યવસ્થા માટે ઘાતક છે.