BJPમાંથી રાજીનામું આપનાર પૂર્વ MLA અપક્ષ લડશે ચૂંટણી
ગુજરાતની ચૂંટણીમાં ઉમેદવારોની યાદી જાહેર થતા જ આંતરિક વિખવાદો સપાટી પર આવવા લાગ્યા છે. ભાજપમાં ઉમેદવાર યાદીમાં કપાયેલા ઉમેદવારો રોષ પ્રગટ કરીને અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે.
ગુજરાતની ચૂંટણીમાં ઉમેદવારોની યાદી જાહેર થતા જ આંતરિક વિખવાદો સપાટી પર આવવા લાગ્યા છે. એક તરફ પાસ અને કોંગ્રેસનુ કમઠાણ ચાલી રહ્યું છે, તો ભાજપમાં ઉમેદવાર યાદીમાં કપાયેલા ઉમેદવારો રોષ પ્રગટ કરીને અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. આવો જ માહોલમાં ભાજપની યાદી બાદ કોડીનારમાં જોવા મળ્યો હતો. 92-કોડીનાર વિધાનસભાના ધારાસભ્ય જેઠા સોલંકીએ પ્રથમ યાદી જાહેર થયા બાદ જ રાજીનામું આપી દીધું હતું. તેમણે ટિકિટ ન મળવાની આશંકા હેઠળ રાજીનામું આપ્યું હતું અને તેમની માન્યતા સાચી ઠરી હતી. ભાજપની ત્રીજી યાદીમાં કોડીનાર બેઠક પરથી રામભાઇ વાઢેરને ટિકિટ આપવામાં આવી છે. જેઠાભાઇ સોલંકીએ આ અંગે જણાવ્યું હતું કે, ભાજપે પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીની વાત માનીને મને ટિકીટ આપી નથી અને મારા પર આરોપ લગાવ્યો છે કે, મેં કામ કર્યા નથી. કોડીનારમાં પૂર્વ સાંસદ અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે ઉભા થયેલા ખટરાગને પગલે વર્તમાન ધારાસભ્ય જેઠાભાઇ સોલંકીની ટિકિટ કપાતા ભાજપ માટે સુરક્ષિત માનવામાં આવતી કોડીનાર બેઠક પર રાજકીય માહોલ ગરમાયો છે.
આગામી ચૂંટણી પહેલા મોટા બદલાતા રાજકીય સમીકરણો બદલાતા ભાજપ માટે મુશ્કેલી વધારનાર બની રહ્યા છે, જેનો ગેરફાયદો ભાજપને થાય તો ગઢ સમાન બેઠક ભાજપના હાથમાંથી સરકી જઇ શકે તેવી શક્યતા છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલી કોડીનાર બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વની બેઠક માનવામાં આવે છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. આથી ભાજપ અને કોગ્રેસનું દલિત રાજકારણ પણ અહીંથી શરૂ થાય છે. દલિત વોટબેંક માટે કોડીનાર કાયમ ચર્ચાનું કેન્દ્ર બનતું રહ્યું છે. ચૂંટણીઓ આવતા દલિત સમાજ પરના અત્યાચારને લઈને રાજકારણ ફરી ગરમાઈ રહ્યું છે. જેનો લાભ બન્ને મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ લેવાનું ચુકશે નહિ. એક સમયે કોડીનાર બેઠક કોંગ્રેસના ગઢ સમાન હતી, પરંતુ સમયાંતરે આવતા રાજકીય સમીકરણો અને કોંગ્રેસની રણનીતિમાં ઓટ આવતા છેલ્લા 20 વર્ષથી આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોડીનાર તાલુકાના અરણેજ ગામના વતની જેઠાભાઇ સોલંકી કોડીનાર બેઠક પર ભાજપના ધારાસભ્ય તરીકે વર્ષ 2012માં ચૂંટાયા બાદ હાલની રાજ્ય સરકારમાં છેલ્લા બે વર્ષથી સંસદીય સચિવ તરીકે સેવાઓ આપી રહ્યા હતા. વર્તમાન ચૂંટણીમાં તેમને ભાજપની ટિકિટ ન મળતી હોવાનું હાઇકમાન્ડ દ્વારા જાણ થતા તેમણે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી તેમજ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું હતું. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાવાની અટકળો વહેતી થઈ હતી. જો કે, હવે તેઓ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવશે