બનાસકાંઠા: BJP સાંસદ લીલાધર વાઘેલાએ ફરી પક્ષની પડખે!
વિધાનસભા ચૂંટણી નજીક આવતા ધીરે-ધીરે રાજકીય પક્ષો વચ્ચેનો આંતરિક વિખવાદ પણ સપાટીએ આવી રહ્યો છે. ભાજપના બનાસકાંઠાના સાંસદ લીલાધર વાઘેલાનો મૂડ થોડા દિવસ પહેલા વકરેલો. આ અંગે વધુ વાંચો અહીં.
વિધાનસભા ચૂંટણી નજીક આવતા ધીરે-ધીરે રાજકીય પક્ષો વચ્ચેનો આંતરિક વિખવાદ પણ સપાટીએ આવી રહ્યો છે. ભાજપના બનાસકાંઠાના સાંસદ લીલાધર વાઘેલાનો મૂડ થોડા દિવસ પહેલા વકરેલો હતો. જો કે, તેઓ રવિવારે બનાસકાંઠના ઢેઢાલ ગામના ગ્રામજનો સાથે 'મન કી બાત ચાય કે સાથ' કાર્યક્રમમાં જોવા મળ્યા હતા અને લીલાધર વાઘેલામાં ઘણો ફેરફાર જોવા મળ્યો હતો. પોતાના પુત્રને ડીસામાંથી ટિકીટ મળે તે બાબતે રાજહઠે ચઢેલા લીલાધાર વાઘેલાના સૂર અહીંબદલાઈ ગયા હતા. તેમણે પુત્ર માટે ટિકિટની માંગણી પડતી મૂકી હતી.
તેમણે જણાવ્યુ હતું કે, એ તો તેમનો નજીવો અને ક્ષણિક રોષ હતો, બાકી તેઓ પક્ષ સાથે જ છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં લીલાધર વાઘેલાએ ભાજપ પાસેથી પુત્ર માટે ટિકિટ માગી હતી. જો કે, ભાજપે લીલાધર વાઘેલાના પુત્રને ટિકિટ ન આપતા લીલાધર નારાજ થયા હતા અને પાર્ટીમાંથી રાજીનામું આપવાની ધમકી આપી હતી. તે બાદ અમિત શાહને રજૂઆત કરવા પણ પહોંચ્યા હતા. પરંતુ હવે લીલાધર વાઘેલા પોતાના નિવેદન પરથી ફરી ગયા છે. તેમણે કહ્યું હતું કે, તે સમયે તેઓ આવેશમાં આવીને આવું બોલી ગયા હતા.