ગુજરાત ચૂંટણી: રાજકોટમાં મિતુલ દોંગાની સભામાં તોડફોડ
કોંગ્રેસના મિતુલ દોંગાની સભામાં તોડફોડ ભાજપના કહેવાતા કાર્યકર્તાએ કરી તોડફોડ આ અંગે વધુ વાંચો અહીં...
રાજકોટમાં વિધાનસભાની ચૂંટણી અંગે વાતાવરણ ગરમાયું છે. ગત અઠવાડિયે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઇ પર થયેલ હુમલા બાદ સોમવારે રાતે વધુ એક વખત હોબાળો થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાની જાહેરસભામાં ભાજપના કહેવાતા કાર્યકર્તા ખુલ્લી તલવાર સાથે પહોંચ્યા હતા અને તોડફોડ કરી હતી. મિતુલ દોંગાએ આ અંગે કહ્યું હતું કે, મિતુલ દોંગા ભાષણ કરીને નીકળી ગયા બાદ અન્ય કોંગ્રેસ કાર્યકર્તા ભાષણ આપી રહ્યા હતા તે સમયે જ ભાજપના એક કાર્યકર્તાએ અચાનક આવી તોફાન કરતા નાસ-ભાગ થઇ હતી.
આ સભામાં ચૂંટણી પંચના સભ્યો પણ હાજર હતા. આ વ્યક્તિનું નામ જાદવ દેસુરભાઇ અલગોતર હતું અને તે પોતાને ભાજપનો કાર્યકર્તા ગણાવી રહ્યો હતો. આ ઘટના બાદ મિતુલ દોંગા સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ પોલીસ મથકે પહોંચ્યા હતા. આ વ્યક્તિ પર હત્યા, ગોળીબાર જેવા ગંભીર આરોપો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયાથી જ રાજકોટ ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. રાજકોટ પશ્ચિમની બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી છે, જ્યારે કોંગ્રેસને ઉમેદવાર છે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ. તેમણે ખાસ વિજય રૂપાણી સામે ટક્કર લેવા જ આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.