રાજકોટ: રાજપૂત કરણી સેનાએ પરેશ રાવલને માર્યો લાફો?
શનિવારે રાત્રે રાજપૂત કરણી સેનાના સભ્યોએ પરેશ રાવલને માર્યો લાફોરાજકોટમાં બની હતી ઘટનાભાજપ તરફથી આવી ઘટનાની વાત નકારાઇજાણો શું છે હકીકત?
રાજપૂત કરણી સેના અને 'પદ્માવતી'નો વિવાદ ચરમસીમાએ છે અને બીજી બાજુ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને કારણે વાતાવરણ ગરમાયેલું છે. એવામાં ચૂંટણી પ્રચાર કરવા ગુજરાત આવેલ ભાજપના સાંસદ પરેશ રાવલને રાજપૂતો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાની મોટી કિંમત ચૂકવવી પડી છે. પરેશ રાવલની ટિપ્પણી પર ગુસ્સે ભરાયેલા રાજપૂત કરણી સેનાના લોકોએ શનિવારે રાત્રે રાજકોટની હોટલમાં જઇ પરેશ રાવલને લાફો માર્યો હોવાની વાત જાણવા મળી છે. તેમની સાથે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હતા. આ ઘટના બાદ તુરંત જ પોલીસનો કાફલો અને ભાજપના મોટા નેતાઓ પણ હોટલ પહોંચી ગયા હતા. જો કે, ભાજપ તરફથી આવી કોઇ પણ ઘટના થઇ હોવાની વાત નકારવામાં આવી છે.
ઉપલબ્ધ જાણકારી અનુસાર, શનિવારે પરેશ રાવલ ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે લિંબડી પહોંચ્યા હતા. અહીં તેમણે ભાષણ આપતાં કહ્યું હતું કે, સરદાર પટેલે રાજા-રજવાડાઓના વાંદરાઓને સીધા કરી દેશને એક કર્યો હતો. સોશ્યલ મીડિયા પર પરેશ રાવલના ભાષણનો વીડિયો વાયરલ થયા બાદ રાજપૂત સમાજ રોષે ભરાયો હતો. ત્યાર બાદ શનિવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. ભાજપ એક તરફ જ્યાં આ વાત નકારી રહ્યું છે, ત્યાં બીજી તરફ કરણી સેનાના આગેવાને આ વાતની પુષ્ટિ કરી છે. ભાજપ તરફથી કહેવામાં આવ્યું હતું કે, આવી કોઇ ઘટના બની નથી. રાત્રે કેટલાક લોકો પરેશ રાવલના રૂમ પાસે આવ્યા હતા, પરંતુ સિક્યોરિટી સ્ટાફે તેમને પરત મોકલી દીધા હતા. તો પરેશ રાવલે પણ માફી માંગતા કહ્યું હતું કે, મેં ભાષણમાં કોઇ જ્ઞાતિ પર નિશાન સાધીને ટિપ્પણી કરી નથી, છતાં પણ જો એવું કંઇ થયું હોય અને લોકોની લાગણી દુભાઇ હોય તો એ બદલ હું માફી માંગુ છું.