હાર્દિકની ચીમકીઃ અનામત આપશે તેને મળશે પાટીદારોનું સમર્થન
હાર્દિક પટેલે સુરેન્દ્રનગરમાં સભાને સંબોધી હતી. તેમા હાર્દિકે ભાજપ સરકારને નિશાના પર લીધી હતી. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ તથા યુવા નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. દરમિયાન પાસ નેતા હાર્દિક પટેલે સુરેન્દ્રનગરના વઢવાણમાં અધિકાર સંમેલન નામના કાર્યક્રમમાં એક સભા સંબોધી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી પાટીદારોને અનામત નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેશે. હાર્દિક પટેલે જનસભામાં ભાજપ સરકાર ઉપર ભ્રષ્ટાચાર મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. તેમજ કહ્યું હતું કે, જે પક્ષ પાટીદાર સમાજની અનામત સહિતની માંગો પુરી કરશે તેને સમસ્ત પાટીદાર સમાજ સમર્થન આપશે.
હાર્દિકે આગળ કહ્યું હતું કે, આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારો પોતાની તાકાત બતાવશે અને તેનું પરિણામ ભોગવવા ભાજપ તૈયાર રહે. વઢવાણમાં હાર્દિક પટેલના સ્વાગત બાદ બાઇક રેલી આયોજિત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં રાજ્યભરમાંથી પાસ સમિતિના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સમાજ દ્વારા હાર્દિક પટેલનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. હાર્દિકની સભામાં વિશાળ જનમેદની જોઈ સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો.