CM વિજય રૂપાણીની તેમના મતક્ષેત્રમાં આ કારણે હાર થઇ શકે છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સીએમ વિજય રૂપાણીનું મતક્ષેત્ર તેમની મુશ્કેલીઓ વધારે તેવું બન્યું છે. જેની પાછળ કયું ફેક્ટર કામ કરે છે જાણો આ લેખમાં
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી જીતી રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. ગત પેટા ચૂંટણી દરમિયાન વિજય રૂપાણીને 81, 092 મતો મળ્યા હતા. અને કોંગ્રેસના નેતા જયંતિ કલારિયાને 57,352 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટની આ બેઠક ભાજપની સૌથી સેફ બેઠક મનાય છે. કર્ણાટકના ગવર્નર બન્યા પહેલા આ જ બેઠકથી વજુભાઇ વાળા સાત વાર વિજેતા બન્યા હતા. 2002માં પેટાચૂંટણીમાં નરેન્દ્ર મોદી પણ અહીંથી જીતીને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. અને 2014માં વિજય રૂપાણી પણ અહીંથી જ જીતીને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આમ એક રીતે રાજકોટ પશ્ચિમની આ બેઠક ભાજપનો ગઢ ગણી શકાય.
પણ પાટીદાર અનામત આંદોલન પછી આ સેફ બેઠકના પાયા ડગમગાયા છે. રાજકોટ પશ્ચિમમાં પાટીદરો મતદાતાઓ વધુ છે. અનામતની માંગણી અને કોંગ્રેસ સાથે પાટીદારોની થયેલી બેઠક અને તેના પરિણામોને જોતા મુખ્યમંત્રીનું મતક્ષેત્ર હવે મુખ્યમંત્રી માટે જ આવનારા સમયમાં મુશ્કેલીનું કારણ બની શકે છે. એટલું જ નહીં આ જ કારણ હતું કે થોડા સમય પહેલા ખુદ ભાજપે રાજકોટના બદલે વિજય રૂપાણીને કોઇ અન્ય મતક્ષેત્ર પરથી ચૂંટણી લડાવવા માટે વિચાર કરી રહ્યું હતું. આમ બીજા શબ્દોમાં કહીએ તો પાટીદાર, દલિતો અને ઓબીસીના ફાટા પડ્યા બાદ ભાજપ માટે તેની જૂની અને સેફ ગણાતી સીટો પણ મુશ્કેલીમાં મૂકાઇ છે.