"સુરતના વેપારીઓ માટે રાહુલ ગાંધી પ્રશ્ન કરે એ હાસ્યાસ્પદ"
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ગુરૂવારે અમદાવાદમાં પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતુંઅહીં તેમણે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતાશું કહ્યું સ્મૃતિ ઇરાનીએ પત્રકાર પરિષદમાં? વાંચો અહીં...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજકીય પક્ષો એક પછી એક મોટા નેતા અને મંત્રીઓને મેદાનમાં ઉતારી રહ્યાં છે. આ જ શ્રેણીમાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ અમદાવાદ, ગુજરાતની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સ્ત્રી સશક્તિકરણ કામગીરીની પત્રિકા રજૂ કરી હતી અને ત્યાર બાદ પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. તેમણે અહીં રાહુલ ગાંધી પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, જો ખરેખર રાહુલ ગાંધીનો એજન્ડા વિકાસ કરવાનો હોત, તો તેઓ વિકાસની મશ્કરી કદી ન કરત. રાહુલ ગાંધીના અમેઠીમાં શાળા અને આરોગ્યની સમસ્યા છે. અમેઠીમાં વિકાસના કામ નથી થયા.
GST મુદ્દે રાહુલ પર સાધ્યું નિશાન
સુરતમાં વેપારીઓએ કરેલ જીએસટીના વિરોધ અંગે તેમણે કહ્યું હતું કે, મેં સુરતના વેપારીઓ સાથે જીએસટી અંગે ચર્ચા કરી છે. વેપારીઓના પ્રશ્નો જીએસટી કાઉન્સિલને મોકલી આપવામાં આવ્યા છે. કોંગ્રેસ ચૂંટણી સમયે માત્ર આગ લગાવવાનું કામ કરે છે. જે લોકો સત્તામાં આવવાના જ નથી, તે લોકો તો ઘણા વચનો આપી શકે. કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેમણે સુરતની લૂમ ઇન્ડસ્ટ્રીમાં ટેક્નોલોજીના વિકાસ માટે થોડી પણ મદદ નહોતી કરી, આથી આ અંગે રાહુલ ગાંધી પ્રશ્ન કરે તે હાસ્યાસ્પદ લાગે છે.
રાહુલ ગાંધીની વારંવારની ગુજરાત મુલાકાત પર કટાક્ષ
રાહુલ ગાંધીની ગુજરાતની વારંવારની મુલાકાતો પર પણ સ્મૃતિ ઇરાનીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, જે પાછલા 5 વર્ષોમાં એક વાર પણ ગુજરાતમાં નથી દેખાયા, તે આજે વારે-વારે આવી રહ્યાં છે. ગુજરાતમાં તેમનું સ્વાગત છે, ચોક્કસ આવે અને જે વિકાસ અમેઠીમાં નથી તે ગુજરાતમાં જુએ. એક જનપ્રતિનિધિ તરીકે થોડું યોગદાન અમેઠી માટે કરે, તો અમે સૌ એમનો ખૂબ આભાર માનીશું.