Gujarat Election: અમિત શાહના '2002માં પાઠ ભણાવી દીધો'વાળા નિવેદન પર IAS અધિકારીએ ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ
અમિત શાહના '2002માં પાઠ ભણાવી દીધો'વાળા નિવદેન પર હવે એક રિટાયર્ડ આઈએએસ અધિકારીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે શુક્રવારે 25 નવેમ્બરે અમિત શાહે ભરુચના વાગરા ખાતે એક જાહેરસભામાં સંબોધન દરમિયાન કહ્યુ હતુ કે ગુજરાતમાં અસામાજિક તત્વો અગાઉ વારંવાર હિંસા કરતા અને કોંગ્રેસ તેમને છાવરતી હતી પરંતુ એ લોકોને 2002માં એવો તે પાઠ ભણાવ્યો કે એ લોકો ખો ભૂલી ગયા છે. ભાજપે ગુજરાતમાં કાયમની શાંતિ કરી દીધી છે. અમિત શાહના આ નિવદેન પર હવે એક રિટાયર્ડ આઈએએસ અધિકારીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. જેના પર ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યુ કે અમે આ મામલાને જોઈ રહ્યા છે. પોલ પેનલે ગુજરાતના ચીફ ઈલેક્ટોરલ ઑફિસર પર પાસે આ બાબતે રિપોર્ટ માંગ્યો છે.
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ જણાવ્યુ કે તેનો રિપોર્ટ બે દિવસ પહેલા ચૂંટણી પંચને મોકલી દેવામાં આવ્યો છે. આર્યએ કહ્યુ કે અમે ખેડાના જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી તેનો રિપોર્ટ માંગ્યો હતો. આ રિપોર્ટમાં વીડિયો ક્લિપનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં કંઈ પણ વાંધાજનક નથી. અમિત શાહ સીધી રીતે કોઈને ઉશ્કેરતા નથી. તેઓ કહી રહ્યા છે કે તોફાનીઓને પાઠ ભણાવવામાં આવ્યો ત્યારબાદ ગુજરાતમાં કોઈ રમખાણો થયા નથી. તેથી કોઈ ચોક્કસ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો ન હતો. અમે તેનો રિપોર્ટ બે દિવસ પહેલા ચૂંટણી પંચને મોકલી દીધો છે.
26 નવેમ્બરના રોજ ચૂંટણી પંચને મોકલવામાં આવેલા પત્રમાં નિવૃત્ત IAS અધિકારી ઈએએસ શર્માએ જણાવ્યુ હતુ કે અમિત શાહે કથિત રીતે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ છે. જેમાં સાંપ્રદાયિક ધોરણે મત માંગવામાં આવે છે. શર્માએ એક મીડિયા રિપોર્ટને ટાંક્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે તેમને 2002માં પાઠ ભણાવી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે જો આ નિવેદન સાચુ હોય તો તે આદર્શ આચાર સંહિતાનુ ઉલ્લંઘન છે, ખાસ કરીને તે નિયમ કે જેમાં કહેવામાં આવ્યુ છે કે જાતિ અથવા સાંપ્રદાયિક આધાર પર વોટ અપીલ કરી શકાતી નથી.
ઉલ્લેખનીય છે કે વાગરાની સભામાં અમિત શાહે કહ્યુ હતુ કે ગુજરાતમાં પહેલા કોંગ્રેસનુ રાજ હતુ ત્યારે વારંવાર કોમી રમખાણો થતા હતા. કોંગ્રેસ પોતે જ અલગ-અલગ સમુદાયના લોકોને ભડકાવીને એકબીજાની સામે લડાવતી હતી. આ કારણથી જ છાશવારે ગુજરાતમાં કોમી રમખાણો થતા હતા. આવા રમખાણોની આગ ઉપર જ કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકતી હતી અને પોતાની વોટબેંક મજબૂત કરતી હતી. કોંગ્રેસે વર્ષો સુધી સમાજના એક વર્ગ સાથે વારંવાર અન્યાય કર્યો છે. પરંતુ 2002 પછી તો ગુજરાતમાં કાયમની શાંતિ થઈ ગઈ છે. કારણ એટલુ જ છે કે જે લોકો વારંવાર હિંસા કરવા અને ભડકાવવા ટેવાયેલા હતા તેમને બરાબરનો સબક શીખવાડ્યો છે.