Gujarat Election: હીરા વેપારીઓને ભારત રત્નનુ સમ્માન મળવુ જોઈએ, સુરતમાં બોલ્યા અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યુ કે ગુજરાતના સુરતના હીરા વેપારીઓ અને ઝવેરીઓને દેશની અર્થવ્યવસ્થામાં તેમના યોગદાન માટે ભારત રત્નથી સમ્માનિત કરવા જોઈએ.
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન સુરતમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યુ કે ગુજરાતના સુરતના હીરા વેપારીઓ અને ઝવેરીઓને દેશની અર્થવ્યવસ્થામાં તેમના યોગદાન માટે ભારત રત્નથી સમ્માનિત કરવા જોઈએ. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાના મતદાનના માત્ર બે દિવસ પહેલા કેજરીવાલના નિવેદનને ભારતીય જનતા પાર્ટી (BJP)ના પરંપરાગત ગઢમાં ગાબડુ પાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
કેજરીવાલે એક હીરાઘસુ એકમની મુલાકાત લીધી હતી અને વેપારીઓ અને કામદારો સાથે તેમની સમસ્યાઓ સમજવા માટે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યુ, 'આજે મોટી સંખ્યામાં હીરાના વેપારીઓ અને કામદારો અહીં હાજર છે. હું તમને બધાને કહેવા માંગુ છુ કે તમે માત્ર દેશનુ જ નહિ પરંતુ સમગ્ર વિશ્વનુ ગૌરવ છો. વિશ્વના એક તૃતીયાંશ હીરાનુ ઉત્પાદન અને નિકાસ સુરતમાંથી થાય છે. તમે હીરા બનાવો છો, પણ મારી નજરમાં તમે બધા હીરા છો.'
કેજરીવાલે આગળ કહ્યુ કે, 'તેમણે સાંભળ્યુ છે કે હીરાના વેપારીઓને સરકાર પાસે કામ કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી કોઈ સમસ્યા ન હોવી જોઈએ કારણ કે મારા મતે સુરતના હીરાના વેપારીઓ અને ઝવેરીઓને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ. તમે દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપી રહ્યા છો અને દેશ માટે આટલુ સારુ કામ કરી રહ્યા છો.' તેમણે દાવો કર્યો હતો કે દરેક જગ્યાએ વેપારીઓને ધમકાવવામાં આવે છે, હેરાન કરવામાં આવે છે, અપમાનિત કરવામાં આવે છે અને બળજબરીથી વસૂલી કરવામાં આવે છે. કેજરીવાલે કહ્યુ, 'જો AAP સત્તામાં આવશે તો ગુજરાતના ઉદ્યોગપતિઓને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ની મદદથી સસ્તી અને મફત જગ્યા મળશે. જેથી તેમને વધારે ભાડુ ના ચૂકવવુ પડે.'
કેજરીવાલે કહ્યુ કે AAP સરકાર એ સુનિશ્ચિત કરશે કે ઉદ્યોગપતિઓને તેમની જરૂરિયાત મુજબ લોન મળે. તેમણે કહ્યુ કે પાર્ટી ઉદ્યોગપતિઓ દ્વારા છેતરપિંડીના કેસોની તપાસ માટે વિશેષ કાયદો લાવશે. કેજરીવાલે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ને એટલો જટિલ બનાવી દીધો છે કે લોકો માટે બિઝનેસ કરવો મુશ્કેલ બની ગયો છે. તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે સાંજે 5 વાગે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. 1 ડિસેમ્બરે પહેલા તબક્કાનુ મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનુ મતદાન યોજાશે. વળી, 8 ડિસેમ્બરે મતોની ગણતરી હાથ ધરવામાં આવશે.