Excl : મોદીનું વાવાઝોડું કે સત્તા વિરોધી લહેર ?
અમદાવાદ, 13 ડિસેમ્બર : ગુજરાતમાં આજે વાવાઝોડું આવ્યું છે. નહીં ભાઈ. ગુજરાતમાં ચોમાસું નથી અને નથી કોઈ પશ્ચિમી વિક્ષોભ કે સમુદ્રી દબાણના પગલે મોસમનો મિજાજ બદલાયો છે. ગુજરાતમાં આજે વાવાઝોડું ફુંકાયું છે મતદાનનું. આ વાવાઝોડું જ કહેવાયને. જે ગુજરાતમાં સામાન્ય રીતે મતદાનની ટકાવારી 60થી ઓછી રહેતી હોય છે, તે જ ગુજરાતમાં આજે મતદારોએ દિલ ખોલીને મતદાન કર્યું છે. હવે તેને વાવાઝોડું જ કહેવાય ને, પરંતુ આ આંધી પાછળ સૌથી મોટો પ્રશ્ન એ જ ઊભો થાય છે કે આખરે શું કહે છે આ વાવાઝોડું?
ગુજરાત વિધાનસભા ચુંટણી 2012માં ગુરુવારે પહેલા તબક્કામાં 87 બેઠકો માટે 60 ટકાથી વધુ મતદાન થયું છે. આ સાથે જ 846 ઉમેદવારોનો ભાગ્ય ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનો (ઈવીએમ)માં બંધ થઈ ગયો છે, પરંતુ અહીં અમે વાત ઉમેદવારોની નહીં, પણ તેમના આકાઓની કરવા જઈ રહ્યાં છીએ. આખરે મતદાનનું આ વાવાઝોડું શું સુચવે છે? મતદાનના આ આંકડા જોઈ ચુંટણી વિશ્લેષકો પોત-પોતાનું વિશ્લેષણ કરવામાં જોતરાઈ ગયાં છે. જ્યાં સુધી રાજકીય પક્ષોનો પ્રશ્ન છે, તો ભાજપ-કોંગ્રેસ ઉપરાંત જીપીપી પણ ભારે મતદાનને પોતાના પક્ષે બતાવી રહી છે, પરંતુ આ તમામ શક્યતાઓ વચ્ચે વધુ એક તસવીર સ્પષ્ટ રીતે ઉપસી રહી છે.
ગુજરાતમાં છેલ્લા બે દશકાથી એવી પ્રચલિત માન્યતા રહી છે કે વધુ મતદાનનો લાભ સીધી રીતે ભાજપને જ થતો રહ્યો છે. જ્યાં સુધી વિધાનસભાની ચુંટણીઓનો પ્રશ્ન છે, તો 1995માં 64.39 ટકા, 1998માં 59.30 ટકા, 2002 માં 61.54 ટકા તથા 2007માં 59.77 ટકા મતદાન થયુ હતું અને ચારેય ચંટણીઓમાં ભાજપને બે તૃત્યાંશ બહુમતી મળી હતી.
વાત આ વખતની કરીએ, તો મતદારોએ આ વખતે પણ ભારે મતદાન કર્યું છે. એ સાચુ છે કે આજે માત્ર 87 બેઠકો માટે મતદાન થયું છે અને 95 બેઠકો માટે મતદાન હુજ બાકી છે, પરંતુ આજે કમ સે કમ અડધા ગુજરાત કે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે, તેનો જનાદેશ તો ઈવીએમમાં બંધ થઈ ચુક્યો છે.
પરંતુ સવાલ એ જ ઊભો થાય છે કે આખરે મતદાનનુ વાવાઝોડું કોને પોતાની સાથે ઉડાવી લઈ જશે અને કોને ધૂળમાં મેળવશે? જૂના અનુભવો અને આંકડાઓને માનીએ, તો નક્કી અહીં ભાજપને ફાયદો થતો દેખાય છે, પરંતુ ઉપરોક્તા ચારેય ચુંટણીઓમાંથી ત્રણમાં સીધો મુકાબલો ભાજપ-કોંગ્રેસ વચ્ચે હતો, તો 1998માં શંકરસિંહ વાઘેલાનો રાજપ પણ મેદાને હતો. જોકે રાજપની દુર્દશાએ સ્પષ્ટ થઈ ગયુ હતું કે તે મુકાબલો પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચેનો જ બની રહી ગયો હતો.
હવે આ વખતની વાત કરીએ. આ વખતના ચંટણી જંગમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી) મેદાને છે, પરંતુ મતદાનના આંકડાઓથી સ્પષ્ટ છે કે મતદારોએ ભારે મતદાન કરી એમ જણાવી દીધું છે કે તેમનો ઝુકાવ કોઈ એક તરફ જ છે. જો જનાદેશમાં વેર-વિખેર હોત, તો મતદાન આટલું વધુ ન થયુ હોત.
આજના મતદાનથી અનેક સવાલો ઊભા થાય છે. પહેલો એ કે શું પરમ્પરા પ્રમાણે એમ માની લેવાય કે વધુ મતદાન ભાજપના પક્ષે થયું છે? બીજો સવાલ એ કે વધુ મતદાનને 11 વર્ષોથી સત્તારૂઢ ભાજપ કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઉઠેલો અવાજ સમજવામાં આવે? ત્રીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે વધુ મતદાન કરી લોકોએ શું મોદીના વિકલ્પ તરીકે કેશુભાઈ કે કોંગ્રેસમાંથી કોઈ એક તરફ પોતાનો ઝુકાવ દર્શાવ્યો છે? કે પછી લોકોએ વધુ મતદાન કરી સીધી રીતે મોદીના પક્ષમાં ઉમળકો વ્યક્ત કર્યો છે?
વિગતવાર સમજીએ. જો એમ માની લેવાય કે ગુજરાત વિધાનસભા ચુંટણી 2012માં મોદી જ મુદ્દાના કેન્દ્રમાં હતાં, તો પછી એક વાત નક્કી છે કે મતદાનની અધિકતા કાં તો મોદીના પક્ષે છે કે કાં પછી મોદી વિરુદ્ધ. મોદી જ મુદ્દાના કેન્દ્રમાં હોવાનો મતલબ છે 11 વર્ષોથી શાસન કરતાં મોદીને ફરી તક આપવામાં આવે કે નહીં? જો આ જ બે વિકલ્પો સાથે મતદારો મતદાન કેન્દ્રે પહોંચ્યા હોય, તો પછી સીધી વાત છે કે લોકોએ કાં તો ભાજપના પક્ષમાં મત આપી મોદીને વધુ એક તક આપવાનો વિકલ્પ પસંદ કર્યો છે, કાં તો મોદીના વિકલ્પ તરીકે કોંગ્રેસ કે જીપીપી પક્ષે મતદાન કર્યું છે. જો એવું હોય, તો પછી મોદી સમર્થક મતો વહેંચાવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. મતોની વહેંચણી થઈ હોય, તો તે મોદી વિરોધી મતોની જ થઈ હશે. આ પરિસ્થિતિમાં પણ ફાયદો મોદીને જ થવાની શક્યતા છે, તો બીજી બાજુ જો એમ માની લઇએ કે વધુ મતદાન સત્તા વિરોધી લહેર દર્શાવે છે, તો એવું માનવાને કોઈ મોટું કારણ દેખાતું નથી. શક્ય છે કે સ્થાનિક મુદ્દાઓ અમુક જગ્યાએ હાવી હોય, પરંતુ ગુજરાતમાં છેલ્લા 11 વર્ષોના શાસન દરમિયાન મોદી વિરુદ્ધ કોઈ મોટુ આંદોલન ન થવું અને કોઈ પણ પ્રકારનો સામૂહિક વિરોધ ન થવો, તેનાથી સાબિત થાય છે કે મોદી વિરોધી લહેર પર આ મતદાન સવાર ન હોઈ શકે.
ઉપરોક્ત શક્યતાઓ ચકાસતા સ્પષ્ટ છે કે મતદાનની આ આંધી મહદઅંશે મોદી પક્ષે દેખાય છે, પરંતુ છેલ્લો નિર્ણય તો 20મી ડિસેમ્બરે જ જાણવા મળશે.