માલધારી સમાજના આગેવાને CM રૂપાણી સાથે કરી મુલાકાત
અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં રખડતા ઢોરોની સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. જેમા આકરી કાર્યવાહી કરવામાં આવતા માલધારી સમાજમાં પોલીસ અને સરકાર સામે રોષની લાગણી જોવા મળી હતી. આ અંગે વધુ વાંચો અહીં.
અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં રખડતા ઢોરોની સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે, ત્યારે આ ત્રાસથી મુક્તિ મેળવવા માટે અમદાવાદ પોલીસ દ્વારા આકરા પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે ઢોરોને રખડતા મુકનાર સામે આઈપીસીની કલમ 308 હેઠળ ગુનો નોંધવાની શરૂઆત કરી હતી. જેમાં બિનજમીન પાત્ર ગુનામાં ઢોરોના માલિક સામે આકરી કાર્યવાહી કરવામાં આવતા માલધારી સમાજમાં પોલીસ અને સરકાર સામે રોષની લાગણી જોવા મળી હતી. ગુરૂવારે ગુજરાત સરકારના ઘેટાં અને ઉન વિકાસ નિગમના અધ્યક્ષ અને માલધારી સમાજના આગેવાન ભવાન ભરવાડે તેમના નિગમનો પત્ર રિલીઝ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, બુધવારે તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી.
જેમાં તેમણે ખાતરી આપી હતી કે રખડતા ઢોર મામલે હવે પોલીસ દ્વારા 308ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં નહીં આવે. પંરતુ જૂના કેસ પરત ખેંચવાની વાત નકારી હતી. ભવાન ભરવાડે જણાવ્યું કે, મુખ્યમંત્રી સાથે મુલાકાત હકારાત્મક રહી હતી. તેમણે ખાતરી આપી હતી કે, કલમ 308 કેસ નહીં નોંધાય. જ્યારે ગુજરાત માલધારી સમાજના અગ્રણી નાગજીભાઈ દેસાઇએ જણાવ્યું કે, સરકાર ચૂંટણી આવતા લલચામણી જાહેરાત કરી રહી છે. ભવાન ભરવાડ ભાજપના એજન્ટ છે અને સમાજને ગેરમાર્ગે દોરે છે.