Photos : પ્રથમ ચરણના મતદાનમાં આ નેતાઓ કર્યું મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનમાં ભાજપ અને કોંગ્રેસના અનેક જાણીતા નેતાઓએ પોલિંગ બૂથ પર હાજરી આપી વોટિંગ કર્યું . જુઓ તેમની આ તસવીરો અહીં
શનિવારે, ગુજરાતમાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન યોજવામાં આવ્યું છે. પહેલા તબક્કાના આ મતદાનમાં કુલ 89 બેઠકો પર મતદાન થશે. જેમાં કુલ 977 ઉમેદવારો ચૂંટણીનું ભાવિ નક્કી થશે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાક કદાવર નેતાઓ પણ મતદાન કર્યું હતું. અને સાથે જ ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત થવાની છે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે વહેલી સવારે જ અનેક મહત્વની બેઠકો પરથી જાણીતા નેતાઓ મતદાન કરવા માટે પરિવાર સમેત પહોંચી ગયા હતા. અને મતદાન કરવાની તેમની આ ફરજ ચૂકવી હતી. ત્યારે જુઓ આ તસવીરો.
વિજય રૂપાણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનમાં વહેલી સવારે મતદાન કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ ખાતે તેમના બૂથ પર મતદાન માટે પહોંચ્યા હતા. અહીં રૂપાણીએ ગુજરાતના લોકોને મોટી સંખ્યામાં હાજરી આપી મતદાન કરવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની રાજકોટ પશ્ચિમની બેઠક પરથી મોટા મતો સાથે જીત થશે.
જીતુ વાઘાણી
ભાવનગર પશ્ચિમ ખાતેથી ચૂંટણી માટે ઉભા રહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ ભાવનગર ખાતે મતદાન કર્યું હતું. આ પ્રસંગે મતદાન બાદ તેમણે જણાવ્યું હતું કે ભાજપને આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 150 થી વધુ બેઠકો પર જીત મળશે. અને ભાજપની જીત માટે તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
અર્જૂન મોઢવાડિયા અને એહમદ પટેલ
પોરબંદર બેઠક પરથી ઉભા રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયાએ પણ પરિવાર સાથે આવીને પોરબંદર ખાતેથી મતદાન કર્યું હતું. વધુમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ પણ ભરૂચના અંકલેશ્વર ખાતેથી મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા અહેમદ પટેલે જણાવ્યું હતું કે આ વખતે કોંગ્રેસને 110 થી પણ વધુ બેઠકો ગુજરાતમાં મળશે. અને ગુજરાતમાં કોંગ્રેસની ભવ્ય જીત થશે.
નરેશ પટેલ
તો બીજી તરફ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તેવા નરેશ પટેલ પણ સહપરિવાર આવીને મતદાન કર્યું હતું. નોંધનીય છે કે ખોડલધામ ટ્રસ્ટ્રે વિજય રૂપાણીને રાજકોટમાં સમર્થન જાહેર કર્યું છે. તો બીજી તરફ તેમના પુત્ર શિવરાજ પટેલે પ્રેસવાર્તા કરીને કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે. જેના કારણે ચૂંટણીમાં છેલ્લા સમયે પણ રાજકારણ ગરમાયું હતું.
મહેન્દ્ર મશરૂ
આ સિવાય ગુજરાત વિધાનસભાના આ ચૂંટણી સંગ્રામમાં જૂનાગઢના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરૂએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા મતદાન કર્યુ. તો બીજી તરફ અમરેલી બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણીએ અને મહુવાથી અપક્ષ ઉભેલા કનુ કલસરિયાએ મતદાન કર્યું હતું. સાથે જ જાણીતા ક્રિકેટર ચેતેશ્વ પૂજારાએ પણ રાજકોટથી મતદાન કર્યું હતું.