જપ્ત કરાયેલી બોટ લેવા ગયેલું ગુજરાતી માછીમારોનું જૂથ પાકિસ્તાનથી પરત
વડોદરા, 22 જુલાઇ : ગુજરાતની જખૌ જળસીમાએ વખતોવખત ભારતીય માછીમારોને બોટ સાથે પાકિસ્તાન મરીન અપહરણ કરીને થોડા સમય બાદ માછીમારોને છોડી મૂકે છે. પરંતુ આ સમયે માછીમારોની કિંમતી બોટ પરત આપતી નથી. આ પ્રશ્ને પોરબંદર માંગરોળ અને વેરાવળના માછીમાર આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ પાકિસ્તાનની મુલાકાતે જઇને પાકિસ્તાન સરકાર સાથે ચર્ચા કરી હતી. પાકિસ્તાન સરકારના પ્રતિનિધિઓએ બોટ છોડવા હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. પાકિસ્તાને જણાવ્યું હતું કે આ અંગે વિધીવત રીતે ભારત સરકારને જાણ કરાશે .
નોંધનીય છે કે છેલ્લા 12 વર્ષમાં પાકિસ્તાને ભારતીય માછીમારોની કુલ 800 ફિશીંગ બોટ પકડીને પોતાના કબ્જામાં રાખી મૂકી છે. આવી બોટો કાંઠા ઉપરજ હોવાથી મોટા ભાગની બોટો સારવારના અભાવે સમય જતા ભાંગી ગઇ છે. પાકિસ્તાને કેટલીક બોટની હરાજી પણ કરી દીધી છે.
ગુજરાતના માછીમારોનું પ્રતિનિધિમંડળ તારીખ 19 અને 20 જુલાઇના રોજ પાકિસ્તાનની મુલાકાતે હતું. માછીમાર આગેવાનોના પ્રતિનિધિ મંડળમાં અરવિંદભાઇ પાંજરી ખીમજીભાઇ મોતીવરસ, વેલજીભાઇ મસાણી, પોલીસ અધિકારી શ્રી જેબલીયા વગેરે સામેલ હતા.
માછીમારોના પ્રતિનિધિ મંડળની મુલાકાત દરમિયાન પાકિસ્તાનમાં રહેલ કુલ 57 બોટ ઉપયોગમાં લઇ શકાય તેવી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તેમાંથી 4 બોટને ભારે સમારકામ અને બાકીની 53 બોટને થોડા સમારકામની જરૂર છે. પ્રતિનિધિ મંડળની બોટ છોડવાની રજૂઆતને સફળતા બાદ 800માંથી આટલી જ બોટ પરત અપાય તેવી શકયતા છે.