ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની તેમના નિવાસસ્થાનેથી પોલીસે કરી અટકાયત
ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના (સીઆર નં. 5/2022) સંદર્ભે આઈપીસીની કલમો 406, 409, 420, 465, 467, 468, 471, 120(B)અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની 12, 13(1), 13(2)ની કલમો હેઠળ અટકાયત કરવામાં આવી છે. પૂર્વ ગૃહમંત્રીની અટકાયત રાજ્યનુ રાજકારણ ગરમાયુ છે. તમને જણાવી દઈએ કે પૂર્વ ગૃહમંત્રીની તેમના નિવાસસ્થાનેથી અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ખાનગી રીતે પોલીસ અધિકારીઓએ અટકાયત કરી છે. કોઈ જૂના કેસમાં વિપુલ ચૌધરીની સંડોવણી બહાર આવતા પોલીસ તંત્રએ આ પગલું ભર્યુ છે.
તમને જણાવી દઈએ કે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાનેથી અટકાયત કરવામાં આવી છે. પોલીસકર્મીઓ સાદા કપડાંમાં આવ્યા હતા. અહેવાલ મુજબ મહેસાણા એસીબીમાં નોંધાયેલા ગુના મુદ્દે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિપુલ ચૌધરી અને તેમના અંગત સીએ શૈલેષ પરીખની અટકાયત કરી છે. ટૂંક સમયમાં બંનેની ધરપકડ કરવામાં આવશે. વિપુલ ચૌધરી ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને ગુજરાત કોઑપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ૨૦૨૦માં પણ બનાસ ડેરીમાં ૧૪.૮૦ કરોડના બોનસ કૌભાંડમાં વિપુલ ચૌધરીની ધરપકડ થઈ ચૂકી હતી. નોંધનીય છે કે વિપુલ ચૌધરી 2014માં દૂધસાગર ડેરીના વડા હતા પરંતુ પછી ભ્રષ્ટાચારના આરોપોને કારણે અમૂલ અને દૂધસાગર બંનેમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. વિપુલ ચૌધરી પર પશુ આહારમાં 22 કરોડના કૌભાંડનો આરોપ હતો. 2018માં ટ્રિબ્યુનલ કોર્ટે રૂ. 22 કરોડના કથિત કૌભાંડના સંબંધમાં ચૌધરીને સસ્પેન્ડ કર્યા હતા.
વર્ષ 2020માં સીઆઈડીના અધિકારીએ જણાવ્યુ હતુ કે વિપુલ ચૌધરીને કોર્ટે કૌભાંડના 40 ટકા એટલે કે 9 કરોડ રૂપિયા ચૂકવવા કહ્યુ હતુ. આ કેસમાં ચૌધરી અને મહેસાણા દૂધસાગર ડેરીના હાલના ચાર અધિકારીઓ સામે આ કેસમાં કાવતરુ ઘડવાનો આરોપ હતો. આ લોકોએ 14.80 કરોડની છેતરપિંડી કરી હતી. આ પૈસા ડેરી નિગમના 1932 કર્મચારીઓને આપવાના હતા. જે બાદ ગાંધીનગરના CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. જે બાદ ચૌધરીની ગાંધીનગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને ઘણી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.