ગુજરાત સરકારે બે સૈનિક શાળાઓ અને છ કૉલેજો બનાવવાની કરી જાહેરાત
ગુજરાત સરકારે રાજ્યમાં બે નવી સૈનિક શાળાઓ અને છ કોલેજો સ્થાપવાની જાહેરાત કરી છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યમાં બે નવી સૈનિક શાળાઓ અને છ કોલેજો સ્થાપવાની જાહેરાત કરી છે. શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ જણાવ્યુ હતુ કે, 'બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર નજીક બનાસ ડેરીના કેમ્પસમાં એક સૈનિક શાળા ખોલવામાં આવશે. આવી બીજી શાળા મહેસાણા શહેરમાં દૂધસાગર ડેરીના કેમ્પસમાં આવેલી હશે.'
વાઘાણીએ ઉમેર્યુ કે, 'ઉત્તર ગુજરાતના પાલનપુર અને મહેસાણામાં આ સૈનિક શાળાઓ ખોલવા માટે કેન્દ્રએ પહેલેથી જ મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના કોલ પર, બંને ડેરી સહકારી સંસ્થાઓ યુવાનોને સશસ્ત્ર દળો માટે તૈયાર કરવાના અમારા પ્રયાસમાં ભાગીદાર બનવા આગળ આવી છે.'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય કેબિનેટે છ નવી સરકારી કોલેજોની સ્થાપનાને પણ મંજૂરી આપી હતી. વાઘાણીના જણાવ્યા અનુસાર શાળાઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બોર્ડ સાથે સંલગ્ન હશે. જ્યારે સુરતમાં લિંબાયતને નવી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ મળશે. સુરતમાં પણ વરાછા અને રાજકોટના જસદણ શહેરમાં ટૂંક સમયમાં નવી સાયન્સ કોલેજ મળશે. ભાવનગરના પાલિતાણા અને અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં પણ નવી સરકારી કોલેજો બનશે.
હાલમાં ગુજરાતમાં માત્ર એક જ સૈનિક શાળા છે જે જામનગર જિલ્લાના બાલાછડી ગામ પાસે આવેલી છે. આદિવાસી વસ્તી માટે રાજ્ય સરકાર મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં નવી વિજ્ઞાન કોલેજ શરૂ કરશે જ્યારે સુરતના કાછલ, નર્મદાના ડેડિયાપાડા અને નવસારીના ખેરગામમાં હાલની કોલેજોને વિજ્ઞાન પ્રવાહની સુવિધા મળશે એમ વાઘાણીએ જણાવ્યુ હતુ. મંત્રીમંડળે સુરતના ઉમરપાડામાં આવેલી સરકારી આર્ટસ કોલેજમાં વિજ્ઞાન અને વાણિજ્ય સ્ટ્રીમ શરૂ કરવાની પણ મંજૂરી આપી હતી એમ મંત્રીએ જણાવ્યુ હતુ.