ગુજરાત સરકારની યોજના ખેડૂતો માટે બની માથાનો દુ:ખાવો
ગાંધીનગર, 19 જુલાઇ : ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતોની પ્રગતિ અને વિકાસ માટે સતત પ્રગતિશીલ રહી છે. ગુજરાતના ખેડૂતો આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયે અને ખેતીમાં સારું ઉત્પાદન મેળવે તથા સરકારની ખેડૂતો લક્ષી યોજનાઓનો મહત્તમ લાભ મેળવી શકે તેવા ઉદ્દેશ સાથે સરકાર વિવિધ યોજનાઓ ઘડતી રહે છે. જો કે રાજ્ય સરકારની આવી બે યોજનાઓ હવે ખેડૂતો માટે માથાના દુ:ખાવા સમાન બની છે.
ગુજરાત સરકારે ખેડૂતો માટે આત્મા (ATMA) અને આઇ(IKisan) કિસાન નામની બે યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓના અમલીકરણથી રાજયમાં કૃષિ ઉત્પાદન વધશે એવી સરકારને આશા છે. આ માટે યોજના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની મદદથી ખેડૂતોને ખેતી સંબંધિત તમામ માહિતી ઘર આંગણે પૂરી પાડવામાં આવે તેવો હેતુ છે.
આ યોજનાઓનો સૌથી મોટો લાભ એ છે કે તેની મદદથી રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં શરૂ કરેલી તમામ યોજનાઓનો લાભ તેમને મળી શકે. આ માટે ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવી પડે છે. આ ઓનલાઇન નોંધણી જ હવે ખેડૂતો માટે મોટી સમસ્યા બની છે. ઓનલાઇન નોંધણી કરવાનો પ્રયાસ કરતા ખેડૂતોને નોંધણી કરતા સમયે ટેકનિકલ સમસ્યા નડે છે એથવા સોફ્ટવેસ સંબંધિત સમસ્યા નડે છે.
આ સમસ્યાને કારણે રાજ્યભરના કુલ ખેડૂતોમાંથી અંદાજે 12 ટકા જેટલા ખેડૂતો જ નોંધણી કરાવી શકવામાં સફળ થયા છે. સાબરકાંઠાનું ઉદાહરણ લઇએ તો 2.30 લાખ ખેડૂતોમાંથી માત્ર 27,000 ખેડૂતોની નોંધણી થઇ શકી છે. હવે યોજનાઓનો લાભ લેવા માટે નોંધણીની સમય મર્યાદા પૂરી થઇ ગઇ છે. જેના કારણે ખેડૂતોમાં લાભથી વંચિત રહી જવાની ચિંતા પ્રસરી છે.