દીકરીના લગ્ન ખર્ચમાં ગરીબ પરિવાર માટે આધારસ્તંભ બનતી સાત ફેરા સમૂહ લગ્ન યોજના
રાજ્ય સરકાર સમૂહ લગ્ન દ્વારા સાદગી અને દંભ વગર લગ્ન કરવા પ્રોત્સાહન આપતી સાત ફેરા સમૂહ લગ્ન યોજના અમલમાં મુકી છે. જાણો વિગત.
ગાંધીનગરઃ ભારતીય સમાજ વ્યવસ્થામાં લગ્ન સંસ્કારને ખુબ ધામધૂમથી અને અઢળક નાણાકીય ખર્ચ કરીને પ્રસંગ મનાવવામાં આવે છે. આ લગ્ન પ્રસંગ મનાવવામાં સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારની હાલત કફોડી થઇ જતી હોય છે. સમાજમાં દંભ અને ખોટો દેખાડો કરવામાં પણ ગરીબ પરિવારોને મજબૂરીમાં ભારે દેવામાં ધકેલાવાની નોબત આવે છે. આ સ્થિતિમાં રાજ્ય સરકાર સમૂહ લગ્ન દ્વારા સાદગી અને દંભ વગર લગ્ન કરવા પ્રોત્સાહન આપતી સાત ફેરા સમૂહ લગ્ન યોજના અમલમાં મુકી છે. 2012થી અમલમાં આવેલી આ યોજના રાજ્ય સરકાર દ્વારા કન્યાને આર્થિક સહાય આપવાની સાથે સમૂહ લગ્ન આયોજન કરનાર સંસ્થાને પણ સહાય પુરી પાડે છે.
આર્થિક પછાત કે ઓબીસી સમુદાયના વરવધૂ ને આ સહાય મળવાપાત્ર છે. જેમાં કન્યાને 12 હજારની રકમની સહાય આપવામાં આવે છે. જ્યારે, આયોજન કરનાર સંસ્થાને યુગલ દીઠ 3 હજાર લેખે સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકારની સમાજ કલ્યાણની આ યોજનાનો મુખ્ય આશય સમાજમાં દંભ અને દેખાડો કરી લગ્ન કરવામાં થતાં લાખો રૂપિયાના ખોટા ખર્ચ બચાવી સમૂહ લગ્ન દ્વારા સામાજિક એકતા કેળવતાં લગ્ન કરવાનો છે. રાજ્ય સરકાર દ્વારા આજસુધીમાં સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ 6 હજાર જેટલા યુગલોને સહાય ચુકવવામાં આવી છે. જેમાં, 6 કરોડ જેટલી રકમની સહાય મળી છે. જ્યારે, 2021-22ના વર્ષમાં 1770 યુગલોને આ સહાય આપવાની અને 2022-23ના વર્ષમાં 1000 યુગલોને આ સહાયનો લાભ આપવાનો લક્ષ્યાંક ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા સૂચિત કરવામાં આવ્યો છે.
માઇ રમાબાઇ સાત ફેરા સમૂહલગ્ન યોજના તરીકે ઓળખાતી આ યોજના ગરીબ અને આર્થિક તંગદિલી ભોગવતાં પરિવારો માટે વરદાન સમાન ગણાય છે. ઠાકોરભાઇ પરમારે જણાવ્યું હતુ કે, અમારા પરિવારની આર્થિક હાલત ખરાબ હતી. મોંઘવારીમાં લગ્ન પ્રસંગ કરવા લાખ બે લાખની વ્યવસ્થા કરવી અઘરી હતી. પરંતું, અમારી દીકરીના લગ્ન સમાજના સમૂહલગ્નમાં કરતાં અમારે મોંઘાદાટ ખર્ચમાંથી મુક્તિ મળી. આ ઉપરાંત, તેને આપવાપાત્ર કરિયાવરનો ખોટો ખર્ચ પણ કરવાનો બચી જતાં અમારા પરિવારનું મોટું લગ્નનું ભારણ સુખરૂપ ઉતરી ગયું છે.
સામાન્ય રીતે, સરકાર આ પ્રકારે સામાજિક સંસ્થાઓ અને લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને આર્થિક મદદરૂપ થવા આ પ્રકારની યોજના અમલમાં મુકતી હોય છે. ત્યારે, સાતફેરા સમૂહ લગ્નની આર્થિક સહાય કન્યાના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવતાં હોય છે. આ યોજના હેઠળ ભાવનગર, પંચમહાલ અને વલસાડ જિલ્લાના લાભાર્થીઓ અગ્રેસર રહ્યા છે. ભાવનગરના સિદ્ધિબેને જણાવ્યુ હતુ કે, અમારા લગ્ન પરિવારની મરજીથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં કરવામાં આવેલા. આ લગ્નમાં ફક્ત 5 હજારના ખર્ચમાં કરવામાં આવતાં અમારા પરિવારને ખોટો આર્થિક બોજો ભોગવવામાંથી મુક્તિ મળી હતી. સરકારની કુવરબાઇનું મામેરુ યોજનાનો પણ વધારાનો લાભ યુગલને મળવાપાત્ર થાય છે. સમાજમાં ફેલાયેલ લગ્નપ્રસંગમાં ખોટા મસમોટા ખર્ચ કરવાની પ્રણાલી દૂર કરી સાદગી પૂર્ણ સામાજિક દાયિત્વ નિભાવી કન્યા અને વરપક્ષ ને દેવું કરવા મજબૂર કરનારા લગ્ન પ્રસંગો સામે સમૂહલગ્ન કરવા પ્રેરણા આપતી આ યોજના છે.