ગુજરાતના દ્વારકામાં દે ધનાધન 18 ઇંચ, કેશોદમાં 17 ઇંચ વરસાદ
અમદાવાદ, 2 ઓગસ્ટ : ગુજરાતમાં હવામાન ખાતાની ચેતવણી અનુસાર શુક્રવારે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ નોંધાયો હતો. જેમાં યાત્રાધામ દ્વારકામાં મેઘ રાજાની દે ધનાધન બેટિંગથી 12 જ કલાકમાં 18 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે કેશોદમાં 22 કલાકમાં 17 ઇંચ જેટલો વરસાદ વરસી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.
વિસાવદરના રતાંગ ગામમાં માત્ર પાંચ કલાકમાં 12 ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. આ જિલ્લાઓના મોટા ભાગના ચેકડેમ ભરાઈ ગયા છે.
કેશોદમાં તો 22 કલાકમાં 17 ઇંચ વરસાદને પગલે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અહીંના અનેક ગામો બેટમાં ફેરવાયા હતા. ગુરૂવારનાં રાત્રીનાં 8 વાગ્યાથી શુક્રવારનાં સવારનાં 6 સુધીમાં 13 ઇંચ અને ત્યારબાદ બપોરનાં 4 સુધીમાં વધુ 4 ઇંચ વરસાદ વરસી ગયો હતો.
સાંબેલાધાર વરસાદથી શહેરની ઉતાવળી અને ટિલોરી નદીમાં ઘોડાપુર આવ્યા હતાં. કેશોદ શહેરમાં 40 લોકોને સલામત સ્થળે ખસેડાયાં. આ ઉપરાંત જાગનાથ, મહેશનગર, ચુનાભઠ્ઠી, મેઘના સોસાયટી, રણછોડનગર, ગોપાલનગર સહિતનાં વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાવા સાથે લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા હતાં.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ ધૂંઆધાર બેટીંગ કરતા સામાન્ય જીવન ખોરવાઇ ગયું હતું. શુક્રવારે સાંજે 4 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં વલસાડમાં 6.28 ઇંચ, પારડીમાં 5.28 ઇંચ, વાપીમાં 4.28 ઇંચ, ધરમપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.
જો કે ગુજરાતમાં થરાદ, સાંતલપુર, રાધનપુર અને નખત્રાણામાં હજી પણ ઓછો વરસાદ નોંધાયો છે.