Gujarat-Himachal Exit Poll 2022 : કેવી રીતે થાય છે એક્ઝિટ પોલ, આવી રીતે લગાવાય છે ચોક્કસ અનુમાન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. આ સાથે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઇ ગયું છે. આ ચૂંટણીનું 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે.
Gujarat-Himachal Exit Poll 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. આ સાથે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઇ ગયું છે. આ ચૂંટણીનું 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. આ પરિણામ પહેલા વિવિધ એજન્સી સર્વે કરીને એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવે છે. જેના દ્વારા વિવિધ પાર્ટીને મળતી બેઠકો અંગે અનુમાન લગાવવામાં આવે છે. તો આજે આપણે જાણીશું કે આ એક્ઝિટ પોલ કઇ રીતે જાહેર કરવામાં આવે છે અને તેનો ઇતિહાસ શું છે?
કેવી રીતે હાથ ધરવામાં આવે છે એક્ઝિટ પોલ?
એક્ઝિટ પોલમાં એક સર્વે કરવામાં આવે છે, જેમાં મતદારોને ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. તેમને પૂછવામાં આવે છે કે, તેમણે કોને મત આપ્યો. આ સર્વે મતદાનના દિવસે જ કરવામાં આવે છે. સર્વેક્ષણ એજન્સીઓની ટીમો મતદાન મથકની બહાર મતદારોને પ્રશ્ન કરે છે. તેનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તેના આધારે ચૂંટણી પરિણામોનો અંદાજ લગાવવામાં આવે છે. ઘણી એજન્સીઓ ભારતમાં એક્ઝિટ પોલનું આયોજન કરે છે.
ત્રણ પ્રકારના હોય છે ચૂંટણી સર્વે
મતદાન પૂર્વે (પ્રી પોલ) :
આ સર્વેક્ષણો ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ અને મતદાનની શરૂઆત પહેલાં હાથ ધરવામાં આવે છે. જેમ કે, ગુજરાતની ચૂંટણીની તારીખો 3 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ શરૂ થયું હતું, તેથી પ્રી પોલ સર્વે 3 નવેમ્બર બાદ અને 1 ડિસેમ્બર પહેલાં થઈ ગયો હશે.
2. એક્ઝિટ પોલ :
એક્ઝિટ પોલ સર્વે માત્ર મતદાનના દિવસે જ કરવામાં આવે છે. જેમાં મતદારો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં આ સર્વે દરેક તબક્કાના મતદાનના દિવસે જ કરવામાં આવે છે. આ મતદાન મથકની બહાર કરવામાં આવે છે અને મતદાન કર્યા પછી બહાર આવતા લોકોને પ્રશ્નો પૂછીને કરવામાં આવે છે.
3. મતદાન પછી (પોસ્ટ પોલ) :
આ સર્વે મતદાન પૂર્ણ થયા બાદ કરવામાં આવે છે. જેમ કે, મતદાન 5 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. હવે આવતીકાલથી અથવા એકાદ-બે દિવસ બાદ મતદાન પછીનો સર્વે શરૂ થશે. આમાં સામાન્ય રીતે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે, કયા પ્રકારના મતદારોએ કયા પક્ષને મત આપ્યો છે.
એક્ઝિટ પોલ સંબંધિત શું છે માર્ગદર્શિકા?
ભારતમાં પ્રથમ વખત એક્ઝિટ પોલ અંગે 1998માં માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. કલમ 324 હેઠળ ચૂંટણી પંચ દ્વારા 14 ફેબ્રુઆરી, 1998ના રોજ સાંજે 5 કલાકથી 7 માર્ચ, 1998ના રોજ સાંજે 5 કલાકે સુધી ટીવી અને અખબારોમાં એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલના પરિણામોના પ્રકાશન અથવા પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 1998ની સામાન્ય ચૂંટણીનો પ્રથમ તબક્કો 16 ફેબ્રુઆરીએ અને છેલ્લો તબક્કો 7 માર્ચે યોજાયો હતો.
જે બાદ સમય સમય પર, ચૂંટણી પંચ એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ સંબંધિત માર્ગદર્શિકા બહાર પાડે છે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 મુજબ, તમામ તબક્કાઓ માટે મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી એક્ઝિટ પોલ જાહેર કરી શકાતા નથી. છેલ્લા તબક્કાનું મતદાન સમાપ્ત થયાના અડધા કલાક બાદ એક્ઝિટ પોલના પરિણામો બતાવવામાં આવી શકે છે.
કાયદા હેઠળ, જો કોઈ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક્ઝિટ પોલ અથવા ચૂંટણી સંબંધિત કોઈ સર્વે દર્શાવે છે અથવા ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરે છે, તો તેને 2 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.
2004માં ખોટા સાબિત થયા હતા એક્ઝિટ પોલ
એક્ઝિટ પોલના પરિણામો ક્યારેક ખૂબ જ સચોટ સાબિત થાય છે, તો ક્યારેક ખોટા પણ સાબિત થાય છે. 2004ની લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલના પરિણામો અને ચૂંટણીના પરિણામો સાવ વિપરીત હતા.
2004માં એક્ઝિટ પોલમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ભાજપ સૌથી મોટી પાર્ટી બનશે અને એનડીએની સરકાર બનશે, પરંતુ જ્યારે પરિણામ આવ્યા તો એનડીએ 200નો આંકડો પણ પાર કરી શક્યો નહીં અને 189 થઈ ગયો હતો. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની અને યુપીએ દેશમાં સરકાર બનાવી હતી.
2009ની લોકસભા ચૂંટણીમાં પણ એનડીએ અને યુપીએ વચ્ચે જોરદાર ટક્કર થશે તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે પરિણામો આવ્યા ત્યારે યુપીએને 262 બેઠકો અને એનડીએને 159 બેઠકો મળી હતી.
2014 અને 2019ની સામાન્ય ચૂંટણીના એક્ઝિટ પોલ સાચા સાબિત થયા. બંને એક્ઝિટ પોલમાં ભાજપની જીતની આગાહી કરવામાં આવી હતી અને પરિણામોમાં પણ તે જ રહ્યું. ભાજપે 2014માં 282 અને 2019માં 303 બેઠકો જીતી હતી.
ભારતમાં ચૂંટણી સર્વેનો ઈતિહાસ શું છે?
ભારતમાં ચૂંટણી સર્વેક્ષણો અને એક્ઝિટ પોલની શરૂઆત 1980ના દાયકાથી માનવામાં આવે છે. ત્યારબાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાંથી પત્રકાર બનેલા પ્રણય રોયે મતદારોનો મૂડ જાણવા ઓપિનિયન પોલ કરાવ્યો હતો. શરૂઆતના વર્ષોમાં એક્ઝિટ પોલ સામયિકોમાં પ્રકાશિત થતા હતા.
1996ની લોકસભાની ચૂંટણી એક્ઝિટ પોલની દૃષ્ટિએ ઘણી મહત્ત્વની હતી. આવા સમયે દૂરદર્શન પર એક્ઝિટ પોલ બતાવવામાં આવ્યા હતા. આ પહેલીવાર હતું, જ્યારે એક્ઝિટ પોલના પરિણામો ટીવી પર બતાવવામાં આવ્યા હતા. આ સર્વે સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS) દ્વારા કરવામાં આવ્યો હતો.
1996ની ચૂંટણીમાં CSDS એ તેના એક્ઝિટ પોલમાં ખંડિત જનાદેશની આગાહી કરી હતી. એવું જ થયું. બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી, પરંતુ બહુમતીથી ઓછી પડી. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા, પરંતુ બહુમતના અભાવે 13 દિવસમાં રાજીનામું આપવું પડ્યું હતું.