ગુજરાતમાં હવે વાવાઝોડા 'શાહીન'નુ જોખમ નથી, પાકિસ્તાન તરફ ફંટાશે
હવામાન વિભાગે એક રાહતના સમાચાર આપ્યા છે જે મુજબ રાજ્ય પર હવે વાવાઝોડાનુ કોઈ જોખમ નથી.
અમદાવાદઃ હવામાન વિભાગે એક રાહતના સમાચાર આપ્યા છે જે મુજબ રાજ્ય પર હવે વાવાઝોડાનુ કોઈ જોખમ નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં 'શાહીન' નામનુ વાવાઝોડુ સર્જીઈ રહ્યુ છે પરંતુ હવે ગુજરાત પર તેનુ કોઈ જોખમ નથી કારણકે 'શાહીન' વાવાઝોડુ પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. જો કે વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળશે.
ઘણા વિસ્તારોમાં વરસાદ આવશે
વાવાઝોડાની અસરના પગલે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ આવશે. આજથી ત્રણ દિવસ સુધી વાવાઝોડાની અસર રાજ્યમાં રહેશે. રાજ્યના ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. વળી, આ વિસ્તારોમાં 60થી 90 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. પ્રશાસન એલર્ટ પર છે અને 17 જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસટીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતના બંદરો પર 3 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.
સિઝનનો 90 ટકા વરસાદ વરસ્યો
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 90 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હજુ પણ રાજ્યમાં વરસાદ સતત ચાલુ છે. સૌરાષ્ટ્રમાં 103 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 94 ટકા, દક્ષિણ ગુજરાતમાં 90 ટકા, મધ્ય ગુજરાતમાં 81 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે જળાશયોાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 65 ડેમ છલકાઈ ચૂક્યા છે. જેમાંથી 53 ડેમ તો માત્ર સૌરાષ્ટ્રના છે. રાજ્યમાં 100 ડેમ હાઈએલર્ટ પર છે જ્યારે 8 ડેમ એલર્ટ પર છે.
રાજ્યના ડેમોમાં પાણીનો જથ્થો
પાણીના જથ્થાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 82 ટકા પાણીનો જથ્થો છે. કચ્છના 20 ડેમમાં 30 ટકા પાણીનો જથ્શો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 35 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 87 ટકા પાણીનો જથ્થો છે જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 91 પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 63 ટકા પાણીનો જથ્થો છે.