ગુજરાત લોકાયુક્ત : સરકારે 3 નવા નામો રાજ્યપાલને મોકલ્યા
ગાંધીનગર, 18 સપ્ટેમ્બર : ગુજરાત સરકારે રાજયમાં લોકાયુકતની નિમણુંક કરવા માટે ત્રણ નવા નામોની દરખાસ્ત કરી છે. ત્રણ નિવૃત ન્યાયધીશોના નામની દરખાસ્તમાં નિવૃત જ્જ ભગવતીપ્રસાદ, એ.એલ.દવે અને આર.પી.ધોળકીયાનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારે આ ત્રણેય નામો રાજયપાલ અને વિધાનસભામાં વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાને મોકલી આપ્યા છે. આ ત્રણેય નામોને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસે પણ મંજુરી આપી દીધી છે.
નોંધનીય છે કે રાજયપાલ ડો કમલા બેનિવાલ દ્વારા નિયુકત થયેલા લોકાયુકત જસ્ટીસ (નિવૃત) આર એ મહેતાએ ચાર્જ સંભાળવાનો તાજેતરમાં ઇન્કાર કર્યો હતો. રાજયપાલની લોકાયુકતની કરેલી નિમણુંક સામે સરકારે બે વર્ષ કાનૂની યુધ્ધ ખેલ્યુ હતુ પરંતુ તેમાં તેનો પરાજય થયો હતો.
જસ્ટીસ ભગવતી પ્રસાદ ઝારખંડ હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ અને ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જ્જ છે. જસ્ટીસ દવે ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ઇન્ચાર્જ ચીફ જસ્ટીસ હતા અને જસ્ટીસ ધોળકીયા ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જ્જ છે. હાલ તેઓ કન્ઝયુમર ડીસ્પ્યુટ રેડરેસ કમીશનના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.
ગુજરાત સરકારના વર્તુળોએ પોતાનું નામ નહી જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે આ ત્રણેય નામોના મામલે રાજય સરકારને રાજયપાલ કે શંકરસિંહ વાઘેલા તરફથી કોઇ નોંધ કે સુચનો પ્રાપ્ત થયા નથી. આ ત્રણેય નામોને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસે મંજુરી આપી દીધી છે. જયારે રાજયપાલ અને વિપક્ષી નેતા તરફથી સત્તાવાર મંજુરી મળી જાય કે તરત જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક બેઠક બોલાવી એક નામ પસંદ કરશે અને કેબીનેટ દ્વારા મંજુરી મળ્યા બાદ એક નામ રાજયપાલને મંજુરી માટે મોકલશે.
આ સમગ્ર કવાયત 30મી સપ્ટેમ્બરથી શરૂ થતા વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલા પુરી કરી લેવામાં આવે તેવી શકયતા છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી લોકાયુકતની નિમણૂંક થઇ નથી. બે વર્ષ પહેલા રાજયપાલે લોકાયુકત તરીકે જસ્ટીસ મહેતાની નિમણુંક કરી હતી પરંતુ ગુજરાત સરકારે આ નિમણુંકને પહેલા હાઇકોર્ટમાં અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.
ગુજરાત સરકારે લોકાયુકત નિમણુંકની સત્તા રાજયપાલને બદલે પોતાની પાસે રહે તે માટે લોકાયુકત એકટ 1986ના બદલે નવું બિલ રજુ કર્યું હતું. જો કે રાજયપાલે તે રિજેકટ કર્યું હતું. રાજય સરકાર આવી રહેલા સત્રમાં નવુ લોકાયુકત એકટ બિલ ફરી રજુ કરે તેવી શકયતા છે.