વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ 2015ની સાથે પ્રવાસી ભારતીય દિવસ પણ ઉજવાશે
ગાંધીનગર, 30 જૂન : ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટની સાથે ગુજરાત સરકાર વર્ષ 2015માં પ્રવાસી ભારતીય દિવસની પણ ઉજવણી કરે એવી શક્યતા છે.
નોંધનીય છે કે રોકાણકારોને આકર્ષવા માટે શરૂ કરાયેલો અને ત્યાર બાદ ગ્લોબલ નોલેજ શેરિંગ માટેનું એક મંચ બનેલો ગુજરાત વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર સમિટનો દ્વિવાર્ષિક કાર્યક્રમ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં ચાલુ રહેશે કે નહીં તે અંગે પ્રશ્ન ઉભો થયો હતો. જો કે આ કાર્યક્રમ હવે નવું સ્વરૂપ ધારણ કરે એવી શક્યતા છે. કારણ કે ગુજરાત અને કેન્દ્ર સરકાર સાથે મળીને પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવા માંગે છે.
ગુજરાત સરકારના અધિકારીએ નામ નહીં જણાવવાની શરતે કહ્યું છે કે 'ગુજરાતના ગાંધીનગરમાં આવેલા મહાત્મ મંદિર ખાતે ગુજરાત વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર સમિટની સાથે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીના આયોજન માટેના મેઇલ માત્ર રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે નહીં પણ રાજ્ય સરકારના વિભાગોમાં પણ મોકલવામાં આવી રહ્યા છે.'
નોંધનીય છે કે ઇન્ડિયન ડાયસ્પોરાનું ભારતના વિકાસમાં યોગદાનને ઉજવવા માટે દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કરવામાં આવે છે. 9 જાન્યુઆરીનો દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કે તે દિવસે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા.
ગુજરાતમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને ટેકો મળવા સાથે આ કાર્યક્રમોમાં ભાગ લેનારાની સંખ્યામાં વધારો કરવા ઉપરાંત કાર્યક્રમની સફળતા પણ નિશ્ચિત કરશે.
સૂત્રો એમ પણ જણાવી રહ્યા છે કે નરેન્દ્ર મોદી આ બંને કાર્યક્રમોમાં હાજરી આપશે. જો કે આટલી મોટી બે ઇવેન્ટ ગુજરાત સરકાર એક સાથે આયોજિત કરી શકશે કે નહીં તે અંગે પ્રશ્ન છે.
નોંધનીય છે કે દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી બાદ એક ચતુર્થાંશ લોકો વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે ગુજરાત આવે છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના એક ઉદ્યોગ પ્રતિનિધિએ જણાવ્યું કે જો આવતા વર્ષે પ્રવાસી ભારતીય દિવસ ગુજરાતના ગાંધીનગરમાં ઉજવવામાં આવશે તો આ કાર્યક્રમમાં ભાગ લેનારા સૌ કોઇ વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટમાં પણ ભાગ લેશે એવી ધારણા છે.
નોંધનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ 2013માં 121 દેશોના 2000થી વધારે પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. રાજ્ય સરકારે આવતા વર્ષે યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2015 માટેની તૈયારીઓ આરંભી દિધી છે. સામાન્ય રીતે પ્રવાસી ભારતીય દિવસ દિલ્હીની સાથે જયપુર અને કોચીમાં પણ ઉજવવામાં આવે છે.
મહત્વની બાબત એ છે કે ગુજરાતમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન કરવું કે નહીં તે બાબતનો નિર્ણય મુખ્યમંત્રી આનંદીબેન પટેલની અધ્યક્ષતાવાળી કમિટીની આવતા મહિને મળનાળી બેઠકમાં લેવામાં આવશે. કારણ કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારી અને પ્રચાર માટે ગુજરાતના પ્રતિનિધિઓ ઓગસ્ટમાં કેનેડા, ચીન જેવા દેશોની મુલાકાત માટે જશે.