અમદાવાદ અને વડોદરામાં 300 દલિતોએ અપનાવ્યો બૌદ્ધ ધર્મ
દશેરાના દિવસે અમદાવાદ અને વડોદરામાં લગભગ 300 દલિતોઓ બોદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી.
શનિવારે દશેરાના શુભ દિવસે અમદાવાદ અને વડોદરામાં 300થી વધુ દલિતોએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. લગભગ 200 લોકોએ અમદાવાદમાં અને 100 લોકોએ વડોદરામાં બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. ઉલ્લેખનીય છે કે, મૌર્ય શાસક સમ્રાટ અશોકે પણ આ જ દિવસે અહિંસાનો સંકલ્પ લઇ બોદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. અમદાવાદમાં ગુજરાત બૌદ્ધ એકેડમીના સચિવ રમેશ બાંકરે જણાવ્યું કે, લગભગ 200 દલિતોએ સંગઠન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.
અમદાવાદમાં બૌદ્ધ ધર્મની દીક્ષા લેનાર દલિતોમાં 50 મહિલાઓ પણ હતી. રમેશ બાંકર અનુસાર, ઉત્તર પ્રદેશના કુશીનગરના બૌદ્ધ ધર્મ પ્રમુખે આ તમામ 200 દલિતોને દીક્ષા આપી હતી. તો વડોદરામાં બોદ્ધ ધર્મ અંગીકાર કરનાર 100 લોકોને પોરબંધરના એક બૌદ્ધ ભિક્ષુએ દીક્ષા આપી હતી. બસપાના એક નેતાએ જણાવ્યું કે, 100થી પણ વધુ લોકોએ સ્વેચ્છાથી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. તેમણે જણાવ્યું કે, બાબા સાહેબ આંબેડકરે છૂત-અછૂત વિરુદ્ધ પોતાની લડાઇ શરૂ કરવા માટે પોતાની નોકરી અને શહેર છોડ્યા બાદ વડોદરામાં જ 5 કલાક વિતાવ્યા હતા, આ કારણે ધર્માંતરણ માટે વડોદરાની પસંદગી કરવામાં આવી. વર્ષ 1956માં નાગપુર ખાતે બાબા સાહેબ આંબેડકરે પણ આ જ દિવસે લાખો લોકો સાથે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો.