ગુજરાત પોલિસના કૂતરાઓને મળશે હવે 'રિટાયરમેન્ટ હોમ', જીવશે સમ્માનપૂર્વકનુ જીવન
ગુજરાત પોલિસના ડૉગ 10 વર્ષ સુધી પોલિસ સેવા કર્યા બાદ હવે 'રિટાયરમેન્ટ હોમ'માં જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદઃ નશીલા પદાર્થો અને વિસ્ફોટકો સૂંઘવા તેમજ આરોપીઓને ટ્રેક કરીને ગુનાઓ શોધવા જેવા મુશ્કેલ કામ કરીને ગુજરાત પોલિસના ડૉગ 10 વર્ષ સુધી પોલિસ સેવા કર્યા બાદ હવે 'રિટાયરમેન્ટ હોમ'માં જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે આવા ડૉગ સ્કવૉડની રિટાયર થઈ ગયા પછી ઉપેક્ષા થતી હોય છે, તેમને દત્તક ઘર નથી મળતા અને તેમને બિન સરકારી સંગઠનોને સોંપી દેવામાં આવતા હોય છે. વર્ષો સુધી પોલિસની સેવામાં ખડેગપગે રહેતા આવા ડૉગ સ્કવૉડ રિટાયરમેન્ટ પછી સમ્માનપૂર્વક તેમનુ જીવન વિતાવી શકે તે માટે ગુજરાત પોલિસ કૂતરાઓ માટે એક પ્રકારનુ વૃદ્ધાશ્રમ ખોલવા જઈ રહી છે. જેનુ ઉદ્ઘાટન આણંદ પોલિસ હેડક્વાર્ટર ખાતે રાજ્ય ડીજીપી આશિષ ભાટિયા કરશે.
રિટાયર હોમમાં હશે આ સુવિધાઓ
ટીઓઆઈના અહેવાલ મુજબ આ યોજના સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યુ છે કે 14 ડૉગ સાથે આ રિટાયરમેન્ટ હોમ શરૂ થશે અને જરૂરિયાત મુજબ તેને 50 સુધી વધારવામાં આવશે. આ રિટાયર હોમમાં કૂતરાઓ માટે શેલ્ટર, ખુલ્લુ મેદાન, ઓબસ્ટેકલ કોર્સ વગેરે જેવી રિટાયરમેન્ટ પ્રવૃત્તિઓ હશે. ભારતીય સેના સિવાય સમગ્ર દેશમાં આ પોલિસ ડૉગ માટે આવી કોઈ સુવિધા નથી.
'નૈતિક જવાબદારી તરીકે આ પગલુ લેવાનો નિર્ણય'
ગુજરાતના ડીજીપી (ટ્રેનિંગ) વિકાસ સહાયે જણાવ્યુ કે, કોઈ પણ પોલિસ દળમાં ડૉગ સ્કવૉડ એક અભિન્ન અંગ હોય છે. જીવનભર સેવા આપ્યા બાદ ડૉગને ઘણી વાર રિટાયર થયા પછી યોગ્ય ટ્રીટમેન્ટ નથી મળતી. આ રીતે અમે તેમના માટે એક યોગ્ય જીવન સુનિશ્ચિત કરવા માટે પોતાની નૈતિક જવાબદારી તરીકે આ પગલુ લેવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત પોલિસ સેવામાં અત્યારે લગભગ 150 કૂતરા
તમને જણાવી દઈએ કે ગુજરાત પોલિસ સેવામાં અત્યારે લગભગ 150 કૂતરા છે અને બીજા 100 કૂતરા પોલિસદળમાં ટૂંક સમયમાં જોડાવાના છે. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર દર વર્ષે ઉંમરના કારણે લગભગ સાતથી આઠ કૂતરા રિટાયર થાય છે. આણંદના એસપી અજીત રજીયને જણાવ્યુ કે આના માટે હાલની કેનલ રી-ડિઝાઈન કરવામાં આવી છે. આ કેનલમાં કૂતરાઓને મેડિકલ સહિતની તેમને જોઈએ તે બધી જ સુવિધાઓ હશે.