ગુજરાતમાં કેજરીવાલની ઘોષણા બાદ હવે સરકાર પોલિસકર્મીઓનુ વેતન વધારવા થઈ તૈયાર
કેજરીવાલે પોલીસકર્મીઓના પગાર અને ભથ્થામાં સુધારો કરવાની જાહેરાત કરી હતી. તેમની જાહેરાત બાદ વર્તમાન સરકારની હલચલ વધુ તેજ થઈ ગઈ છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં રાજકીય પક્ષો વ્યસ્ત છે. આમ આદમી પાર્ટીના વડા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અહીં મફત વીજળી, પાણી અને શિક્ષણ આપવાનુ વચન આપ્યુ છે. આ સિવાય તેમણે પોલીસકર્મીઓના પગાર અને ભથ્થામાં સુધારો કરવાની જાહેરાત કરી હતી. તેમની જાહેરાત બાદ વર્તમાન સરકારની હલચલ વધુ તેજ થઈ ગઈ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે અમારી સરકાર પોલીસકર્મીઓના દર્દને સમજે છે અને ટૂંક સમયમાં પગાર અને ભથ્થામાં સુધારો કરવા જઈ રહી છે.

ટૂંક સમયમાં પગાર-ભથ્થામાં સુધારો કરશે સરકાર
પોલીસકર્મીઓના પગાર વધારાના વિષય પર ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યુ કે સરકારે તેના પર વિચાર વિચાર કર્યો છે. તેમણે કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી ઘોષણાઓ પર પણ કટાક્ષ કર્યો હતો. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે AAP અહીં રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે.સંઘવીએ કહ્યુ, 'અમારુ માનવુ છે કે પોલીસકર્મીઓ, તેમના પરિવારોને ગેરમાર્ગે દોરીને રાજકીય હથિયાર બનાવવાના પ્રયાસો ન કરવા જોઈએ, AAPની મફત જાહેરાતોનુ રાજકારણ અહીં(ગુજરાત) ચાલશે નહિ.'

સારા વેતન-ભથ્થાનુ વચન
નોંધનીય છે કે ગુજરાતમાં ગ્રેડ પેને લઈને પાટનગર ગાંધીનગરમાં પોલીસકર્મીઓના પરિવારજનો તરફથી આંદોલન ચાલી રહ્યુ છે. તેઓ ઈચ્છે છે કે તેમનો પગાર વધે. આ માંગ પર અરવિંદ કેજરીવાલે વાત કરી હતી. અમદાવાદમાં AAPની મહિલા પરિષદમાં પોલીસકર્મીની પુત્રીના પત્રનો ઉલ્લેખ કરતા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં AAPની સરકાર બનશે તો પોલીસકર્મીઓને વધુ સારા પગાર અને ભથ્થા આપવાનુ વચન આપ્યુ હતુ. સાથે જ તેમણે એવી પણ અપીલ કરી હતી કે જો તમે ખુલ્લેઆમ ન કરી શકો તો 'આપ'ને અંદરખાને મદદ કરો, જેથી ગુજરાતમાં પણ તેમની સરકાર બની શકે.

પોલિસકર્મીઓમાં થઈ રહી છે ચર્ચા
કેજરીવાલની પગાર સંબંધિત જાહેરાત થતાની સાથે જ પોલીસકર્મીઓના સોશિયલ મીડિયા જૂથોમાં આવા સંદેશાઓ વાયરલ થવા લાગ્યા કે સરકાર 75માં સ્વતંત્રતા દિવસ પર પોલીસકર્મીઓ માટે નવા ગ્રેડ પેની જાહેરાત કરવા જઈ રહી છે. એક પોસ્ટમાં લખવામાં આવ્યુ હતુ કે- વર્તમાન સરકાર હવે ભથ્થાં વધારીને તેમનો પગાર વધારવા માંગે છે, જેથી પોલીસકર્મીઓમાં ઉભરી રહેલા અસંતોષને દૂર કરી શકાય. વળી, રાજ્ય સરકારે પોલીસકર્મીઓના ગ્રેડ પેમાં ફેરફાર અથવા ભથ્થામાં વધારો કરવાનો પણ સંકેત આપ્યો છે.

કેજરીવાલ કરી રહ્યા છે ઘોષણાઓ
બીજી તરફ કેજરીવાલ ગુજરાતમાં તેમના પ્રવાસ દરમિયાન વારંવાર કહી રહ્યા છે કે જો આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર આવશે તો જનતાને મફત વીજળી, પાણી અને શિક્ષણ આપવામાં આવશે. તેમણે આદિવાસીઓને જંગલ-જમીનનો અધિકાર આપવા અને મહિલાઓને એક હજાર રૂપિયાનુ ભથ્થુ આપવા જેવી જાહેરાતો પણ કરી છે.












Click it and Unblock the Notifications
