રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, 20 જિલ્લામાં યલો, 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ઘણા જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની સંભાવના છે.
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ઘણા જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના 20 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિ ભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યના જળાશયોમાં 74% પાણી ભરાયા છે. જ્યારે 61 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે જ્યારે 18માં 10%થી ઓછુ પાણી છે. 100 વર્ષના ઈતિહાસમાં સપ્ટેમ્બરમાં આ વર્ષે બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ પડ્યો છે.
આ જિલ્લાઓમાં અપાયુ એલર્ટ
કચ્છ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વળી, બુધવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમદાવાદ, આણંદ પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં આજે વહેલી સવારે પડ્યો વરસાદ
અમદાવાદમાં આજે વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. શહેરના ચાંદલોડિયા, ઘાટલોડિયા, સોલા, ગોતા, થલતેજ, સતાધાર અને ચાંદખેડા સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ચાંદખેડામાં વહેલી સવારે 1 ઈંચ જ્યારે ગોતા અને સાયન્સ સિટી પાસે અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. નવા વાડજ વિસ્તારમાં અગિયારસ માતાના મંદિર પાસે એક વૃક્ષ પડી ગયુ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદમાં હજુ ત્રણ દિવસ વરસાદ પડી શકે છે.
24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ થયો છે જેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ થયો છે. વળી, આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 30 તાલુકાઓમાં વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 28.24 ઈંચ વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદ થયો નથી.
વરસાદની આગાહીને જોતા સાવચેતીના પગલાં લેવાયા
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને જોતા રાહત અને બચાવ કાર્યો અંગે આગોતરા પગલાં ભરવા તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. આવતીકાલથી 30 સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની સંભાવના હોય ત્યાં લોકોને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી દેવામાં આવી છે. જિલ્લા અને તાલુકાના વર્ગ 2ના અધિકારીઓને રાઉન્ડ ધ ક્લૉક કામ કરવા આદેશ કરાયો છે. નદી, નાળા, તળાવમાં નાગરિકોને ન્હાવા ન જવા તકેદારી રાખવા પણ અપીલ કરાઈ છે. સ્થળાંતર અને રેસ્ક્યુ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે.