ગુજરાતમાં વરસાદે માઝા મૂકી, ઉત્તર ગુજરાત સહિત 94 તાલુકાઓમાં અવિરત વરસ્યો, આજે પણ આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
આ જગ્યાએ વરસશે વરસાદ
અમદાવાદમાં દિવસ દરમિયાન વરસાદની સંભાવના નહિવત છે. રાજ્યમાં આજે કચ્છ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં સારો વરસાદ પડશે. જ્યારે ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરામાં પણ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, વલસાડ અને નવસારીમાં પણ સારો એવો વરસાદ વરસશે.
94 તાલુકાઓમાં વરસાદ વરસ્યો
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 94 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પાલનપુરમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. સિદ્ધપુરમાં 2 ઈંચ, સતલાસણમાં 2 ઈંચ, અમીરગઢમાં પોણા 2 ઈંચ, દાંતામાં પોણા 2 ઈંચ, ઉંઝામાં 1.5 ઈંચ, પાટણમાં 1.5 ઈંચ, વડગામમાં 1.5 ઈંચ, હારીજમાં 1.5 ઈંચ, કઠલાલમાં 1.5 ઈંચ, જોટાણામાં સવા ઈંચ, મોડાસામાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.
નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
આ ઉપરાંત ધનસુરામાં 1 ઈંચ, મહુધામાં 1 ઈંચ અને મેઘરજમાં 1 ઈંચ વરસ્યો છો. ભરુચ પાસે નર્મદા નદીની જળસપાટી વધીને 28 ફૂટ સુધી પહોંચી છે. નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહી રહી છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીની સપાટીમાં વધારો થયો છે. આથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.