ગુલબર્ગના જે કેસમાં PM મોદીને ક્લીનચીટ મળી, એ કેસ શું છે?
ગુજરાતના 2002ના રમખાણોના જે ગુલબર્ગ સોસાયટી નરસંહાર મામલે નરેન્દ્ર મોદીને ક્લીનચીટ મળી, એ અંગેની તમામ વિગતો વાંચો અહીં...
2002ના ગુજરાત રમખાણો એ એવી ઘટનાઓની હારમાળા છે, જેના પડઘા આજ સુધી સંભળાય છે. ગુરૂવારે આ કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી એવા અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દોષમુક્ત જાહેર કરાયા છે. ગોધરાકાંડ પછી ફાટી નીકળેલા કોમી રમખાણો અને આ દરમિયાન મુસ્લિમોની થયેલ હિંસા મામલે એ સમયની રાજ્ય સરકારની ભૂમિકા અંગે અત્યાર સુધી ઘણા સવાલો થયા છે. તે સમયે રાજ્યમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદ પર હતા અને અમિત શાહ ગૃહ મંત્રી.

ગુજરાત રમખાણો
આ ઘટના પર પહેલેથી નજર કરીએ તો, વર્ષ 2002ની 27મી ફેબ્રૂઆરીએ મુસ્લિમ ટોળાએ અયોધ્યાથી પરત ફરી રહેલ સાબરમતી એક્સપ્રેસના ડબ્બાને આગ લગાડી હતી, જેમાં 58 યાત્રીઓનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં કોમી હુલ્લડો અને હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનાના બીજે જ દિવસે ગુલબર્ગ સોસાયટી નરસંહારની ઘટના બની હતી, જેમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરીનું મૃત્યુ થયું હતું. અહેવાલો અનુસાર, કેટલાક રોષે ચડેલ ઉગ્રવાદી હિંદુઓ દ્વારા અમદાવાદની આ ગુલબર્ગ સોસાયટીને આગ ચાંપવામાં આવી હતી, જેમાં મૃત્યુ પામનારોઓમાં અહેસાન જાફરીનો પણ સમાવેશ થાય છે. આ સોસાયટીમાં રહેતા મોટાભાગના પરિવારો મુસલમાન હતા.

ઝાકિયા જાફરી
ઝાકિયા જાફરી અનુસાર, તેમના પતિ એહસાન જાફરીના મૃત્યુ માટે રાજ્યના તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જવાબદાર છે. ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ રેલવે સ્ટેશન પર પહોંચેલ કારસેવકોએ ઉશ્કેરણીજનક નારા લગાવ્યા હતા, જેને કારણે પરિસ્થિતિ વધુ તંગ બની હતી. તે સમયના સીએમ મોદીએ ગુજરાત એકમના મહામંત્રી જયદીપ પટેલને ફોન કરી ગોધરા જવા કહ્યું હતું. ઝાકિયા જાફરી અનુસાર, જયદીપ પટેલને અપાયેલી એ સૂચના સાથે ખરું કાવતરું શરૂ થયું હતું અને મુસ્લિમો વિરુદ્ધની નકારાત્મક અને આક્રમક લાગણીને ભડકાવવા માટે નરેન્દ્ર મોદી જવાબદાર છે.

નરેન્દ્ર મોદી પર આરોપ
ઝાકિયા જાફરીની અરજી પર આ મામલે નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય 59 લોકો સામે તાપસ કરવામાં આવી હતી. જો કે, આ મામલે મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ક્લીનચીટ મળ્યા બાદ ઝાકિયા જાફરીએ આ નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ઝાકિયા જાફરીની દલીલ છે કે, તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ હુલ્લડોને રોકવામાં જરૂરી કામગીરી નહોતી બજાવી. તેમણે એમ પણ કહ્યું હતું કે, એહસાન જાફરીએ જ્યારે સીએમ મોદી પાસે મદદ માંગી ત્યારે તેમણે મદદ નહોતી મોકલી.

સરકારી આંકડાઓ
આ ઘટનાઓ બાદ ગુજરાતના વિવિધ શહેરોમાં હિંસા અને હુલ્લડોની અનેક ઘટનાઓ બની હતી. સરકારી આંકડાઓ અનુસાર, આ રમખાણોમાં 790 મુસ્લિમ અને 254 હિંદુઓ મૃત્યુ પામ્યા હતા અને 223 લોકો ખોવાયેલ જાહેર થયા હતા. લગભગ 61 હજાર મુસ્લિમો અને 10 હજાર હિંદુઓએ પોતાના ઘર છોડવા પડ્યા હતા. કેટલાક ટિપ્પણીકારો આ ઘટનાઓને હત્યાકાંડ પણ ગણાવે છે.












Click it and Unblock the Notifications
