ગુજરાત રમખાણો : મોદી સામે ઝાકિયાની અરજી પર ચૂકાદો 2 ડિસેમ્બરે
વર્ષ 2002માં થયેલ ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોની તપાસ બાદ સીટે પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતો. જેમાં નરેન્દ્ર મોદીને કોમી રમખાણોના કેસમાં ક્લીનચીટ આપવામાં આવી હતી. નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપતો સીટના રિપોર્ટ સામે ઝાકિયા જાફરીએ અમદાવાદ મેટ્રોપોલીટન કોર્ટમાં પ્રોટેસ્ટ પિટિશન દાખલ કરી હતી.
આ પ્રોટેસ્ટ પિટિશનમાં સીટ અને ઝાકિયા તરફથી જુદા જુદા વકીલોએ દલીલો કરી હતી. આ દલીલો પાંચ મહીના સુધી ચાલી હતી. સીટે પોતાની દલીલોમાં ખાસ કહ્યું હતું કે આ ધટનાને આઠ વર્ષ થઈ ગયા હોવાથી સાક્ષીઓ મળવા મુશ્કેલ છે. તેથી એ સાબિત નથી થઈ શકતું કે ષડયંત્રનો આરોપ જેમના પર લગાવવામાં આવ્યો છે તે સાચો છે કે ખોટો છે.
ઝાકિયાની દલીલોમાં કહેવામાં આવ્યું હતું કે કોમી રમખાણોના કેસમાં તપાસ ચલાવવા બધા આરોપીઓ વિરૂદ્ધ પુરતા પુરાવા છે. બંને પક્ષો મેટ્રોલોપીટન જજ બી.જે. ગણાત્રા સામે દલીલો કરી હતી. દલીલો પાંચ મહીના સુધી ચાલી હતી અને કોર્ટે પ્રોટેસ્ટ પિટિશન અંગે ચુકાદો જાહેર કરવાની હતી પરંતુ જજ બી.જે. ગણાત્રાએ ચુકાદા અર્થે વધુ એક મુદત આપી પ્રોટેસ્ટ પિટિશનનો ચુકાદો 2 ડિસેમ્બર, 2013ના રોજ રાખ્યો છે.