ગુજરાતમાં વન ઉત્પાદનો માટેનું પ્રથમ સ્ટોરેજ કાર્યાન્વિત
આ પરિસંવાદમાં વન વિકાસ નિગમના અધ્યક્ષ કે.ટી.ભીલે ભાગ્યેજ જોવા મળતો સફેદ ખાખરો ટોચથી મૂળીયા સુધી ઉપયોગી છે. એવી જ રીતે રગત રોહિડો અને ચારોળીના જેવા બહુઉપયોગી વૃક્ષોની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી બાકી રહી ગઇ છે. આ તમામ વૃક્ષોની ઉપયોગીતા અને લાભદાયકતાનો વિગતવાર અભ્યાસ અને સંશોધન, તેમના રક્ષણ, ઉછેર અને સંખ્યાવૃદ્ધિમાં મદદરૂપ થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
તેઓએ વન વિકાસ નિગમ આયોજિત ઔષધિય વનસ્પતિઓના એકત્રીકરણ, ખેતી વપરાશ તથા વેચાણના વર્તમાન પ્રવાહો વિષયક પરિસંવાદમાં માર્ગદર્શન આપ્યું હતું. પૂર્વ સાંસદ કાનજીભાઇ પટેલે આ પરિસંવાદનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે નિગમના વહીવટી નિયામક એ.કે.શર્માએ જણાવ્યું હતું કે, એકત્રીકરણકારો દ્વારા એકત્ર કરાતી ગૌણ વન પેદાશોના ભંડારણ (સ્ટોરેજ) ની સગવડનો સંદરત અભાવ હતો. આ ખોટ પુરવા કૃષિ વિભાગના નાણાંકીય સહયોગથી ગોધરા ખાતે 615 મે. ટન સંગ્રહ ક્ષમતા ધરાવતું, વન પેદાશોના સંગ્રહ માટેનું રાજ્યનું પ્રથમ કોલ્ડ સ્ટોરેજ તૈયાર થઇ ગયું છે. આ કોલ્ડ સ્ટોરેજ સંપૂર્ણપણે આદિજાતિ વન પેદાશ એકત્રીકરણકારો માટે ડેડીકેટેડ કરાયું છે. હવે એકત્રીત કરેલી વન પેદાશોના વેચાણમાં બિન જરૂરી ઉતાવળ નહીં કરવી પડે.
આ પરિસંવાદમાં રાજ્યના તમામ વન વિસ્તારો અને કચ્છ સહિતના જિલ્લાઓમાંથી આવેલા ગૌણ વન પેદાશ એકત્રીકરણકારોને એકત્રીકરણ, ગ્રેડીંગ, પ્રોસેસીંગ, વેલ્યુ એડીશન અને માર્કેટીંગના પાસાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમાં વન વિકાસ નિગમના નિયામક મંડળના સદસ્યો, આણંદ અને વડોદરા વિશ્વવિઘાલયોના વનસ્પતિવિદો, ઉચ્ચ વન અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઔષધિય વનસ્પતિઓનું જ્ઞાનપ્રદ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
700 જેટલાં એકમો 900 પ્રકારની વનસ્પતિઓનો ઔષધો અને અન્ય ઉત્પાદનો માટે ઉપયોગ કરે છે. તેનો ઉલ્લેખ કરતાં કાનજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, જેમના મૂળીયા, થડ, છાલ, સંપૂર્ણ વૃક્ષ ઉપયોગી છે તેવી 72 ટકા વનસ્પતિઓ જડમૂળથી નિકંદનના માર્ગે છે. તેના કારણે ગુણવત્તાસભર કાચા માલની ઉપલબ્ધિ પણ જોખમમાં મૂકાઇ છે. ત્યારે ઉપયોગી ઔષધિય વનસ્પતિઓના વારસાને એકત્રીકરણકારોના સહયોગથી સાચવવો અને વધારવો પડશે. તેમને વન વિકાસ નિગમની કાયાપલટ માટે એ.કે.શર્મા તથા તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.
નેશનલ મેડીસીનલ પ્લાન્ટ બોર્ડના પ્રતિનિધિ ડૉ. સુનિલ દત્તે ઔષધિય વનસ્પતિઓના ઉછેર અને ખેતીની વિવિધ યોજનાઓનો એકત્રીકરણકારો વન વિભાગ, નિગમ તેમજ એજન્સીઓના માધ્યમથી બહોળો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.
પહેલીવાર વનોની બહાર કરવામાં આવતા વૃક્ષ ઉછેરનું આર્થિક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એચ.એસ.સિંહે જણાવ્યું હતું કે, આ સર્વક્ષણમાં જણાયું છે કે સન 2009માં વનોની બહાર રૂપિયા 81 હજાર કરોડ મૂલ્યની વનસંપદાનો દેશમાં અને રૂપિયા 4488 કરોડ મૂલ્યની વનસંપદાનો ગુજરાતમાં ઉછેર કરાયો હતો.
કેટલાંક વિસ્તારની વનસ્પતિઓમાં આલ્કલોઇડ જેવા અમૂક પ્રકારના તત્ત્વોની ધણી જ વધારે સમૃદ્ધિ જોવા મળે છે. આ પ્રકારના જીનેટીક સંશોધનો હાથ ધરવાની જરૂર છે. વડોદરાના સીસીએફ ડૉ. અશોક સકસેનાએ માર્ગદર્શન આપ્યું હતું. એ.કે.શર્માએ ગૌણ વન પેદાશોના વેચાણમાંથી થતી આવકમાંથી એકત્રીકરણકારોને મળવાપાત્ર રકમ, તેમના મનરેગા એકાઉન્ટસમાં સીધેસીધી જમા કરવાની નવી પારદર્શક ઓનલાઇન વ્યવસ્થાની જાણકારી આપી હતી. શ્રદ્ધાનંદ ત્યાગીએ આભાર વ્યક્ત કર્યો હતો.