ગુજરાતમાં શિક્ષકોની મનસ્વી બદલી થઇ શકશે નહીં
ગાંધીનગર, 9 ઓગસ્ટ : ગુજરાતના શિક્ષણ વિભાગમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની થતી અરસપરસ બદલીઓમાં મોટાપાયે ગેરરીતિઆચરવામાં આવતી હોવાનું સરકારના ધ્યાનમાં આવતા અરસપરસ થતી બદલીના નિયમોમાં મોટાપાયે ફેરફાર કર્યો છે.
રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગેનો પરિપત્ર બહાર પાડ્યો ત્યાં સુધી વિવિધ જિલ્લાઓમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીઓ થઈ ચુકી હતી અને કેટલાકની બાકી હતી. જેના કારણે સરકારે નવો પરિપત્ર બહાર પાડીને હવે તારીખ 15 ઓગસ્ટ સુધી અરસપરસ બદલી જૂના નિયમ અનુસાર કરવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારના શિક્ષણ વિભાગમાં શિક્ષકોની અરસપરસ બદલીઓમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાનું સરકારના ધ્યાને આવ્યું હતું. જેના કારણે આવી બદલીઓ પર બ્રેક લગાવવા માટે અરસપરસ બદલીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
આ સંદર્ભમાં તારીખ 5મી ઓગસ્ટના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્ર બાદ અરસપરસની બદલીઓમાં શિક્ષકો સેટિંગ ન કરી શકે તેવી જોગવાઈઓ કરવામાં આવી હતી. સરકારે જયારે પરિપત્ર જાહેર કર્યો ત્યાં સુધી કેટલાક જિલ્લામાં શિક્ષકોની બદલીઓ થઈ ચુકી હતી. જયારે કેટલાકની બાકી હતી.
નિયમના અમલ અને પાલનમાં એક સૂત્રતા જળવાઈ રહે તે માટે બાકી રહી ગયેલા શિક્ષકોની જૂના નિયમ અનુસાર અરસપરસ બદલી કરવા માટેની રજૂઆત કરાઈ હતી. આ રજૂઆતના પગલે સરકારે બીજો પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે નિયમાનુસાર અરજી મળી હોય અને અરસપરસ બદલીની કાર્યવાહી થઈ હોય અને તેની અમલવારી ન થઈ હોય તેવા જિલ્લામાં 15મી ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
આ નિયમ મુજબ 1 એપ્રિલ પછી હાથ ધરવામાં આવેલી દરેક અરસપરસ બદલીમાં લાભ લેનાર દરેક શિક્ષકની બદલીના હુકમમાં બદલી પામનાર શિક્ષક આગામી પાંચ વર્ષ સુધી સ્વૈચ્છિક નિવૃત્તિની માગણી નહીં કરી શકે.