ગુજરાતઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યો રસીકરણનો સમગ્ર પ્લાન
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે રાજ્યમાં રસીકરણના સમગ્ર પ્લાનની જાહેરાત કરી હતી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં અગ્રતાના ધોરણે 11 લાખ કોવિડ-19 ફ્રંટલાઈન વર્કર્સ અને હેલ્થકેર સ્ટાફને રસી આપવામાં આવશે. આશરે 16 હજાર લોકોને રસી આપવા માટે તાલીમ આપવામાં આવી છે. સરકારે પ્રાથમિકતાના ધોરણે એક કરોડ લોકોનો ડેટાબેઝ બનાવ્યો છે જેને કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ રસી આપવામાં આવશે. કેન્દ્રએ શનિવારે જાહેરાત કરી હતી કે ભારતમાં 16 જાન્યુઆરીથી કોવિડ-19 રસીકરણ શરૂ કરવામાં આવશે જેમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રંટલાઈન વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવશે.
રાજ્યમાં કોરોના કેસની વાત કરીએ તો 671 નવા કેસ સાથે કોરોના કેસની કુલ સંખ્યા 2,51,944 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 4,344 સુધી પહોંચી ગયો છે. જો કે સારા સમાચાર એ છે કે દિવસ દરમિયાન 800 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા રિકવરી રેટ 95.17 ટકા સુધી પહોંચી ગયો છે. હાલમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 7,829 છે.
ભારત બાયોટેકની કોવાક્સિને મંજૂરી આપવા અંગેના વિરોધ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે, 'જે લોકો સર્જીકલ સ્ટ્રાઈક પછી જવાનો પર, ચૂંટણી હાર્યા પછી ઈવીએમ પર અને રામ મંદિર ચૂકાદા પછી ન્યાયપાલિકા પર સવાલ ઉઠાવતા તેઓ આ 'મેઈડ ઈન ઈન્ડિયા' વેક્સીન બનાવનાર વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ વસ્તુ વિરોધી પક્ષની નિમ્ન સ્તરની માનસિકતા દર્શાવે છે અને લોકો તેમને આના માટે માફ નહિ કરે. હું મુખ્યમંત્રી તરીકે તમને વચન આપુ છે કે પ્રાથમિકતાના ધોરણે દરેકને ચોક્કસપણે રસી આપવામાં આવશે. આપણે ધીરજ અને વિશ્વાસ રાખવો જોઈએ.'
4 જાન્યુઆરીએ પણ ગુજરાતના સીએમે કહ્યુ હતુ કે રાજ્ય કોવિડ-19 રસીકરણ અભિયાન માટે સંપૂર્ણપણે તૈયાર છે અને કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રસીકરણ શરૂ કરવામાં આવશે. ડાંગ જિલ્લાના આહવા ખાતે એક કાર્યક્રમને સંબોધિત કરતા સીએમ રૂપાણીએ કહ્યુ હતુ કે કોલ્ડ ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વે અને વેક્સીનેટર્સને તાલીમ સહિતની બધી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
6 જાન્યુઆરીએ ગુજરાત સરકારે જાહેર કર્યુ હતુ કે કોવિડ-19 મહામારી બાદ થયેલ શટ ડાઉન પછી ધોરણ 10 અને 12 માટે શાળા, ફાઈનલ યર ગ્રેજ્યુએશન અને પોસ્ટ-ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે કૉલેજો 11 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. આ નિર્ણય ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં લેવાયો હતો જેના પ્રમુખ પદે સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નિતિન પટેલ હતા. બેઠક બાદ રિપોર્ટરો સાથે વાત કરતાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યુ હતુ કે સ્કૂલે આવનાર વિદ્યાર્થીઓએ તેમના માતાપિતાનો મંજૂરીપત્ર સાથે લાવવો ફરજિયાત છે.