પત્રકાર ચિરાગ પટેલની હત્યા કે આત્મહત્યા? પાકિટમાંથી પોલીસને મળી આ ચિઠ્ઠી
ચિરાગ પટેલની હત્યા કે આત્મહત્યા? પોલીસને મળી ચિઠ્ઠી
અમદાવાદઃ પાંચ દિવસ પહેલા ટીવી 9ના પત્રકાર ચિરાગ પટેલનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું, જો કે આ હત્યા હતી કે આત્મહત્યા તે અંગે પોલીસ હજુ પણ કોઈ ઠોસ પુરાવા શોધી શકી નથી. જો કે વિપક્ષી નેતાઓએ પણ ચિરાના રહસ્યમય મોતને ક્રૂર હત્યા ગણાવી છે. 19 માર્ચે #Justice4Chirag માટે ગુજરાતના પત્રકારોએ કેન્ડલલાઇટ માર્ચ કરી હતી. પોલીસ અધિકારીઓ મુજબ તેમને આત્મહત્યાની શંકા છે.
જણાવી દઈએ કે ચિરાગ પટેલ ગુજરાતી ટીવી ચેનલ ટીવી9માં કોપી એડિટર તરીકે કામ કરતો હતો. 15મી માર્ચે બપોરે પાનના ગલ્લે જવાનું કહી ચિરાગ ઘરેથી નીકળી ગયો હતો અને પાછો ઘરે ન પહોંચતા તેમના પરિજનોએ પોલીસમાં નોંધ કરાવી હતી. જો કે 16મી માર્ચે સાંજે સળગેલી હાલાતમાં ચિરાગ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. ક્રાઈમ સીન પર ચિરાગનો ફોન નહોતો અને હજુ પણ પોલીસ આ ફોન શોધી શકી નથી.
ચિરાગના રહસ્યમય મૃત્યુના ત્રણ દિવસ બાદ પણ ચિરાગના મૃત્યુનું કારણ ન જાણી શકાતાં વિપક્ષના નેતાઓએ ચિરાગના મૃત્યુને ક્રૂર હત્યા ગણાવી પોલીસ અને રાજ્ય સરકાર પર દોષનો પોટલો ઠાલવ્યો. 19 માર્ચે ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને સાંસદ રાજીવ સાતવે ટ્વીટ કરીને કહ્યું કે 'પત્રકારના ક્રૂર હત્યાથી તેઓ આઘાતમાં છે.' વડનગરથી અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે આ કેસમાં પોલીસે હજુ એક પણ શખ્સની ધરપકડ કરી નથી.
આ કેસની તપા કરી રહેલા 6 પોલીસ અધિકારીઓમાંના એક ડેપ્યૂટી કમિશનર ઑફ પોલીસ અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, પોલીસે ચિરાગે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ ચિરાગ પટેલના શરીરમાં આંતરિક કે બાહરી ઈજા થઈ હોવના કોઈ ઘાવ નહોતા મળ્યા. મકવાણાએ જણાવ્યું કે જો કોઈએ તેના પર હુમલો કર્યો હોય તે ચિરાગે તેમનો સામનો કરવાનો પ્રયત્ન કર્યો હોવો જોઈએ અને તેવામાં તેના શરીરમાં ઈજાના ઘાવ થવા જોઈએ પણ તેના શરીર પર આવા પ્રકારના કોઈપણ ઘાવ ન મળી આવતાં કોઈએ હુમલો કર્યો હોવાની થિયરી શંકાસીલ છે.
વધુમાં મકવાણાએ દાવો કરતા કહ્યું કે ચિરાગે આત્મહત્યા કરી હોવાની ઑફિશિયલ જાહેરાત કરતા પહેલા ફોરેન્સિક રિપોર્ટ આવી જાય તેની રાહ જોઈ રહ્યા છીએ. વધુમાં તેમણે કહ્યું કે, 'આ આત્મહત્યાનો કેસ હતો છતાં ચિરાગ પત્રકાર હોવાથી ગુજરાતી મીડિયા સતત ન્યાયની માંગણી કરી રહ્યું છે.'
પત્રકાર સાગર પટેલે ઈટીવી ચેનલને જણાવ્યું કે, ચિરાગ પટેલે આરટીઆઈ કરીને જાણકારી માંગી હતી કે પોતાના લોકસભા મત વિસ્તાર ખેડામાં સાંસદને કેટલું ફંડ મળ્યું હતું, અને તેનો કેવી રીતે ઉપયોગ થયો. વધુમાં સાગર પટેલે દાવો કર્યો કે ચિરાગ પટેલના પાકિટમાંથી પોલીસને એક ચિઠ્ઠી મળી આવી છે, પણ પોલીસ આ મામલે વધુ માહિતી નથી આપી રહી.
જો કે પોલીસ અધિકારી મકવાણાએ પુષ્ટિ કરતાં જણાવ્યું કે "હા પોલીસને સાગર પેટલની પાકિટમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે પણ તેની માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી. ચિઠ્ઠીમાં લખેલ હતું કે ચિરાગે કેટલાક લોકો પાસેથી પૈસા લેવાના છે." વધુમાં તેમણે ઉમેર્યું કે "પોલીસ હજુ ચિરાગ પટેલના પરિજનોની પૂછપરછ કરવાની બાકી છે. અત્યારે તેઓ અંતિમ ક્રિયામાં વ્યસ્ત છે એટલે તેમની પૂછપરછ થોડા સમય બાદ કરીશું."
આ પણ વાંચો- ગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી