ત્રણ તલાકના નિર્ણય પર ગુજરાતી મુસ્લિમોની પ્રતિક્રિયા
ત્રણ તલાકના સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ગુજરાતના મુસ્લિમ સમાજના લોકોએ શું પ્રતિક્રિયા આપી જાણો અહીં. ઉલ્લેખનીય છે કે આ ચુકાદાને કેટલાક લોકોએ આવકાર્યો છે તો કેટલાકે તેનો વિરોધ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. મુસ્લિમ મહિલાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ પાંચ જજની બનેલી બેંચ દ્વારા આ પ્રથાને ગેરકાનૂની દાખલ કરીને તેના પર 6 મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને 6 મહિનાની અંદર આ માટે એક કાયદો બનાવાનો કહ્યો છે. આ નિર્ણય બાદ જ્યાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને અનેક મહિલા નેતાઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે અને તેને મહિલાઓના સમાનતાના નિર્ણય તરીકે જોઇ રહ્યા છે ત્યાં જ મુસ્લિમ સમાજમાં આ અંગે અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્રણ તલાકનો ભોગ બનનારી મહિલાઓ જ્યાં આ નિર્ણયને કારણે ખુશ છે અને મીઠાઇ વહેંચી રહી છે ત્યાં જ કેટલાક લોકો આ નિર્ણયને નાખુશ પણ છે. ત્યારે આ પ્રસંગે વનઇન્ડિયાના રિપોટર જયેશ દ્વારા અમે ગુજરાતના મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મહિલાની આ અંગેની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો છે. જાણો ગુજરાતી મુસ્લિમો આ અંગે શું કહેવા માંગે છે...
મુફ્તિ રિઝવાન તારાપુરી
મીલી કાઉન્સિલના પ્રમુખ મુફ્તી રિઝવાન તારાપુરીએ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને આવકાર્યો છે. સાથે જ તેમણે જણાવ્યું કે લધુમતીને લગતી આવી કુપ્રથાઓ બંધ થવી જ જોઇએ. સાથે જ તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર 6 મહિનાની અંદર મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સલાહ લઇને આ કાયદો ત્વરીત બનાવી તેને લાગી કરે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું કે દેશના મુસ્લિમ સમાજના લોકોને સુપ્રીમ કોર્ટ અને લોકશાહી પર પૂર્ણ ભરોષો છે.
ઇસ્માઇલ મન્સુરી
મન્સુરીભાઇ, નિવૃત્ત સરકારી અધિકારી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને વખોડતા તેમણે જણાવ્યું કે સરકાર કે કોર્ટે ધર્મની બાબતમાં દખલગીરી ના કરવી જોઇએ. સાથે જ તેમણે કહ્યું કે ધર્મ એક વ્યક્તિગત મામલો છે. અને તેમાં સરકાર કે સુપ્રીમ કોર્ટની આ દખલ અયોગ્ય છે.
સાહીન પિંજર
સાહીન પિંજર, પોતે ત્રણ તલાકની વેદના અનુભવી ચૂકી છે. ત્યારે આ અંગે સાહિને જણાવ્યું કે ત્રણ તલાકના ચુકાદાથી મુસ્લિમ મહિલાને ચોક્કસ ફાયદો થશે. કારણ કે, મુસ્લિમ ધર્મ મુજબ પુરુષ ત્રણવાર તલાક બોલી પત્નીને તલાક આપી શકે છે. જેનો પુરુષો દ્વારા મહત્તમ ગેરફાયદો ઉઠવા આવે છે. આ ત્રણ શબ્દો મહિલાને માથે લટકતી તલાવર સમાન હોય છે. નાની નાની વાતે પત્નીને તલાક આપી સ્ત્રીની આઝાદી છીણવી લેવામાં આવતી હોય છે. તાલકની બીકે મુસ્લિમ મહિલા પુરુષોના તમામ પ્રકારના ત્રાસ સહન કરે છે.
|
સીએમ રૂપાણી
ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ત્રણ તલાકના આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે આ અંગે પ્રતિક્રિયા આપતા ટ્વિટરમાં કહ્યું કે લાંબા સમય પછી મુસ્લિમ સમાજની મહિલાઓને ન્યાય મળ્યો છે. સાથે જ તેમણે આ નિર્ણયને એક મોટા બદલાવના રૂપે જોઇ તેને આવકાર્યો છે.