યુક્રેનમાં કેદ થયેલા ગુજરાતી યુવકની ભારત સરકારને મદદની અપીલઃ રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયો મોરબીનો યુવાન
ગુજરાતના મોરબીનો ૨૩ વર્ષીય યુવાન સાહિલ મોહમ્મદ હુસૈન મજોઠી, જે હાલ યુક્રેનની સેનાના કબજામાં છે, તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારને તેને છોડાવવા માટે ભાવુક અપીલ કરી છે.

કોણ છે આ યુવાન
સાહિલ મોરબીનો રહેવાસી છે અને જાન્યુઆરી ૨૦૨૪માં રશિયન ભાષા અને સંસ્કૃતિના અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા પર રશિયા (સેન્ટ પીટર્સબર્ગ) ગયો હતો.
શું બની ઘટના?
સાહિલે જણાવ્યું કે રશિયામાં તેને નશીલા પદાર્થોના (ડ્રગ્સ) ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો હતો અને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જેલમાંથી બચવા માટે તેને રશિયન સેનામાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
યુક્રેનમાં ધરપકડ
સેનામાં જોડાયાના થોડા જ દિવસોમાં તેને યુદ્ધના મેદાનમાં મોકલી દેવામાં આવ્યો, જ્યાં તેણે યુક્રેનની સેના સમક્ષ આત્મસમર્પણ કરી દીધું. હાલમાં તે યુક્રેનની જેલમાં 'યુદ્ધ કેદી' (War Criminal) તરીકે બંધ છે.
સાહિલનો સંદેશ
પરિવારને મોકલેલા વીડિયો સંદેશમાં સાહિલે કહ્યું: "હું અત્યારે યુક્રેનમાં ફસાઈ ગયો છું અને ખૂબ જ લાચાર અનુભવું છું. હું ભારત સરકાર અને પીએમ મોદીને વિનંતી કરું છું કે પ્લીઝ મને મદદ કરો જેથી હું ઘરે પાછો જઈ શકું."
તેણે રશિયા જઈ રહેલા અન્ય ભારતીય વિદ્યાર્થીઓને પણ ચેતવણી આપી છે કે ત્યાં સ્કેમર્સથી સાવધ રહેવું, કારણ કે ઘણા લોકોને ખોટા કેસોમાં ફસાવીને યુદ્ધમાં જોડાવા મજબૂર કરવામાં આવે છે.
પરિવાર અને સરકારની કાર્યવાહી: સાહિલની માતા હસીનાબેને આ મામલે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કોર્ટે વિદેશ મંત્રાલયને યુક્રેન સત્તાવાળાઓ સાથે સંપર્ક કરવા નિર્દેશ આપ્યો છે. ગુજરાતના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ પણ ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર સાહિલને પરત લાવવા માટે રાજદ્વારી સ્તરે પ્રયાસો કરી રહી છે.












Click it and Unblock the Notifications
