ગુજરાત કોંગ્રેસમાં સંક્રમણકાળ, નેતાઓ ભાજપ ભણી!
ગાંધીનગર, 20 ફેબ્રુઆરી: લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક ઝટકો આપતાં પાર્ટીના વધુ એક ધારાસભ્ય ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું સમર્થન કરવા માટે રાજીનામું આપી દિધું છે. તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર રાજપૂત પણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભગવા રંગમાં રંગાઇ ગયા છે. સુરેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસોથી ભાજપમાં જોડાવવાની વાત ચાલુ હતી, કોંગ્રેસ પાર્ટીમાં 42 વર્ષ સુધી સંઘર્ષ કર્યા બાદ સમજી વિચારીને ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ ચાવડા ગત અઠવાડિયામાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર ત્રીજા કોંગ્રેસી ધારાસભ્ય છે. રાજેન્દ્ર સિંહ ચાવડાએ કહ્યું હતું કે નરેન્દ્ર ભાઇને ભારતના વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં જોવા માંગુ છું. મારા રાજીનામાનું એકમાત્ર કારણ છે. મેં આજે મારું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ વજુભાઇ વાળાને સોંપી દિધું છે.
હું એક બે દિવસમાં મારા 1,500 કાર્યકર્તાઓ સાથે ઔપચારિક રીતે ભાજપમાં જોડાઇ જઇશ. વર્ષ 2012માં હિંમતનગર સીટ પરથી ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલને હરાવીને રાજેન્દ્ર સિંહ ચાવડાએ જીત પ્રાપ્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં જુનાગઢ જિલ્લાના સોમનાથ વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્ય જશાભાઇ બારડે રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. આ પહેલાં અમરેલી જિલ્લાની લાઠી વિધાનસભા સીટ પરથી 2012માં કોંગ્રેસના ધારાસભ્ય બનેલા બાવકુભાઇ ઉંઘાડ પણ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.
સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે 2014ની લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સદનમાં રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ શકે છે. આટલું જ નહી. આગામી થોડા દિવસોમાં ગુજરાત પરિવર્તન પાર્ટીનું પણ ભાજપમાં વિલય થઇ શકે છે. 2012 વિધાનસભા ચૂંટણી દરમિયા આ પાર્ટીએ બે ધારાસભ્યો ચૂંટાયા હતા, જેમાંથી એક ધારાસભ્ય નલિનભાઇ કોટડિયા પહેલાં જ ભાજપના કાર્યક્રમોમાં સામેલ થઇ રહ્યાં છે, તો બીજી તરફ ધારાસભ્ય કેશુભાઇ પટેલ પણ રાજીનામું આપી ચૂક્યાં છે.