ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો
ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે, જેમાં હવામાન વિભાગે આગામી 22 માર્ચ પછી ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં નવી હવામાન પ્રણાલી સક્રિય થવાના કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાની અને અણધાર્યો વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, હાલ દેશમાં પાંચ જેટલી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાત સહિત પડોશી રાજ્યોમાં તોફાની પવન ફૂંકાઈ શકે છે.

22 માર્ચથી સક્રિય થનારી આ નવી સિસ્ટમ અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો લાવશે, જેની સીધી અસર ખેતીના પાક પર પડી શકે છે. આ સિસ્ટમની અસરથી ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધૂળભરી આંધી અને ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. આગામી દિવસોમાં બપોરે તાપમાનમાં વધારો થશે, જ્યારે સાંજ પડતા જ વાદળછાયું વાતાવરણ સર્જાશે અને પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 25 માર્ચ પછી વાતાવરણમાં વધુ બદલાવ આવશે અને તાપમાનનો પારો ગગડતા લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં અમરેલીના બગસરામાં સૌથી વધુ 1.61 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. ચોટીલા, રાજકોટ અને ભેસાણ જેવા વિસ્તારોમાં પણ દોઢ ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે, જ્યારે અનેક પંથકોમાં કરા સાથે માવઠું થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
સૌરાષ્ટ્રના ઉપલેટા, ધોરાજી અને ઓખામાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, તેમજ સાવરકુંડલા અને મુંદ્રા જેવા વિસ્તારોમાં મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે. બીજી તરફ ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને વરસાદને કારણે ઠંડીનું જોર ફરી વધ્યું છે, જેની અસર આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણ પર પડી શકે છે. કાશ્મીરમાં અગાઉ ગરમીનો પારો 30 ડિગ્રીને પાર કરી ગયો હતો, પરંતુ અચાનક થયેલી હિમવર્ષાએ જનજીવનને ખોરવી નાખ્યું છે અને વાતાવરણમાં ફરી ઠંડક પ્રસરી છે.












Click it and Unblock the Notifications
