અશોક ગેહલોતની ઉપસ્થિતિમાં કોંગ્રેસ સંગઠનની ચૂંટણીલક્ષી બેઠક યોજાઇ!
કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે અશોક ગેહલોતની ઉપસ્થિતિમાં વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.
કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે અશોક ગેહલોતની ઉપસ્થિતિમાં વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પ્રદેશ પદાધિકારીઓ, ધારાસભ્યો, લોકસભા ઈન્ચાર્જ, કોંગ્રેસ સંગઠનના જિલ્લા અને તાલુકા એકમના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં સંબોધન કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના ઓર્બઝર્વર અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ મજબુતાઈથી ચૂંટણી લડશે અને જીતશે. ૨૭ વર્ષથી કોંગ્રેસ પક્ષની ગુજરાતમાં સરકાર ન હોવા છતાં પ્રજાના અવાજને કોંગ્રેસ ઉઠાવી રહી છે. ગુજરાતનાં લોકો આવા તકવાદી લોકોની છેતરામણી જાહેરાતો - વાયદાઓ પર વિશ્વાસ નહી કરે. કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શાળા-કોલેજો, આરોગ્ય ક્ષેત્રે પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલો, સીવીલ હોસ્પિટલો, ખેડૂતલક્ષી, સિંચાઈ, બંદરો, જી.આઈ.ડી.સી., મોટા ઉદ્યોગો, રોડ-રસ્તા, સહિત વિવિધ કરેલા વિકાસના કામો બોલે છે. અને આગામી દિવસોમાં પણ કોંગ્રેસ પક્ષ પ્રજાલક્ષી યોજનાઓ લાવી ગુજરાતમાં જનતા સરકાર પ્રસ્થાપિત કરશે.
કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે સી વેણુગોપાલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની હિંમત તેના કાર્યકર્તાઓ છે, કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાતને લઈને કટિબધ્ધ છે. ભાજપ EDનો ઉપયોગ 'ઈલેક્શન ડીપાર્ટમેન્ટ’ તરીકે કરી રહી છે, ભૂતકાળમાં પણ આઝાદીની લડાઈમાં કેટલાંક લોકો અંગ્રેજો સાથે જોડાયા હતા અત્યારે પણ અંગ્રેજોની વિચારધારાને અનુસરનારા લોકો ધાકધમકી સહિતના હથકંડાઓ અપનાવી લોકશાહી ઢબે ચૂંટાયેલા લોકોને તોડી રહી છે. ગુજરાત કોંગ્રેસ તમામ ૧૮૨ વિધાનસભામાં મજબુતાઈથી લડશે. કોંગ્રેસપક્ષ દ્વારા સમગ્ર દેશમાં ૭ સપ્ટેમ્બરથી “ભારત જોડો” યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. ૫ સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી ગુજરાત આવશે અને કોંગ્રેસ પક્ષના સમગ્ર રાજ્યના કાર્યકરો અને બુથની જવાબદારી સંભાળતા સાથીદારોને સંબોધન કરશે.