પતિના હત્યાના આરોપીને જેલમાં જઇને મળી જાગૃતિ પંડ્યા
જાગૃતિ પંડ્યાએ ગુરુવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, મંગળવારે મેં આંધ્ર પ્રદેશની વિશાખાપટ્ટનમ જેલમાં અસગર અલી સાથે મુલાકાત કરી, જે હત્યાના અન્ય એક મામલામાં હાલમાં જેલમાં છે. જાગૃતિએ જણાવ્યું કે હું મારા પતિની હત્યામાં અલીની ભૂમિકા અંગે અને તેની સાથે જોડાયેલ સત્ય જાણવા માંગુ છું, મેં તેને એ સમયે પણ મળવાની કોશીશ કરી હતી જ્યારે તે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ હતો.
તેમણે જણાવ્યું કે લગભગ અઢી કલાક સુધીની મુલાકાતમાં અલીએ જણાવ્યું કે સીબીઆઇએ તેને ખોટો આરોપી બનાવ્યો છે અને ત્રાસ આપીને તેને જબરદસ્તી આરોપો કબૂલ કરાવ્યા છે. સીબીઆઇ દ્વારા 20 એપ્રિલ 2003ના રોજ ધરપકડ કરાયા પહેલા હરેન પંડ્યાની હત્યા અંગે કંઇ જાણકારી ન્હોતી.
ઉલ્લેખનીય છે કે 26 માર્ચ 2003ના રોજ સવારે લૉ ગાર્ડન વિસ્તારમાં હરેન પંડ્યાની ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. સીબીઆઇએ આ મામલામાં અલીને આરોપી બનાવ્યો હતો, પરંતુ ગુજરાત હાઇકોર્ટે તેને મુક્ત કરી દીધો.