જળ સંચય અભિયાન ભ્રષ્ટાચારના ખાડા ખોદવાની યોજનાઃ કૉંગ્રેસ
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરેલ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન પર ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આકરા પ્રહાર કર્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરેલ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન પર ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આકરા પ્રહાર કર્યા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જળ સંચય અભિયાન ઈલેકશન ફંડ ભેગુ કરવા માટેના ગતકડા સમાન ગણાવ્યું હતું. પરેશ ધાનાણીએ કહ્યું કે જળ સંચયના નામે ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર આચરી રહી છે અને પાણીની તંગી અંગે નિષ્ળતા છુપાવવાનો નિરર્થક પ્રયાસ કરી રહી છે.
સરકારી તિજોરીને ચૂનો ચોપડવાનું કામ
ગુજરાત સરકારે શરૂ કરેલા સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, ઘણા વર્ષોથી દર વર્ષે વરસાદની શરૂઆત પૂર્વેના દિવસોમાં ચેકડેમ, તળાવ, નદી-વોકળાને ઉંડા ઉતારવા અને બોરીબંધ જેવા ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે. જેના કારણે, પ્રથમ વરસાદની સાથે જ આ અંગેની કામગીરીના આધાર-પુરાવા નાબૂદ થાય. ત્યારે, ભાજપના મળતીયાઓ લાખો રૂપિયાના બીલ બનાવીને રાજ્યની તિજોરીમાંથી લૂંટ ચલાવવાનું કામ ભાજપ સરકાર કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી જળસંચયના નામે સરકારી તિજોરીને ચૂનો ચોપડવાનું કામ થઈ રહ્યું હોવાનો આક્ષેપ પરેશ ધાનાણીએ કર્યો હતો.
જળસંચય યોજના ભાજપના મળતીયાઓ માટે છે
રાજ્યમાં ઘણા વર્ષોથી નિર્માણ પામેલા અને કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલાં બોરીબંધમાંથી કેટલા બોરીબંધ હયાત છે ? તેની માહિતી આપવા પરેશ ધાનાણીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે, આ તો સરકારનો બોરીબંધને શોધવાનો કાર્યક્રમ હોય તેવું લાગે છે. જમીન વિકાસ બેંકમાંથી પકડાયેલાં લાખો રૂપિયા અંગે તેમણે કહ્યું કે, 2006થી SLC 1થી 33 યોજનાઓ પૈકીની તળાવ ઉંડા કરવાની એક માત્ર SLC-30 નામની યોજના ભાજપના મળતિયાઓના ફાયદા માટે ચાલી રહી છે. જેમાં સરકારી નાણાંને ભાજપના મળતીયાઓ લૂંટી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
ભ્રષ્ટાચારનો મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવ્યો
પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે ભાજપ પોતાના ૨૨ વર્ષના શાસનની સિદ્ધિઓ અને વિકાસના કામો ગણાવવામાં નિષ્ફળ ગઈ હોવાથી વિરોધપક્ષ કોંગ્રેસ ઉપર અર્થહિન આરોપ મુકી રહી છે. કોંગ્રેસે જળસંચયના નામે આચરવામાં આવતાં ભ્રષ્ટાચારનો મુદ્દો પુરાવા સાથે વિધાનસભામાં અને વિધાનસભાની બહાર ઉઠાવ્યો અને હવે લોકો અને ખેડૂતોએ પણ જળસંચયના નામે આચરવામાં આવતી ઉઘાડી લૂંટ સામે અવાજ ઉઠાવ્યો છે. પરેશ ધાનાણીએ સરકારની કામગીરીને લોકોના આંખે પાટા બાંધવા સમાન ગણાવી હતી.
રાજ્યભરમાં શરૂ કર્યુ છે જળસંચય અભિયાન
ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં જળસંચય અભિયાન હાથ ધર્યુ છે. જે શ્રમદાનમાં ગ્રામ્યજનો અને કર્મચારીઓને પણ સાંકળવામાં આવ્યા છે. આ અભિયાન મુજબ જળ સંગ્રહ સ્થાનોને ઉંડા કરવાનો અને તેને સ્વચ્છ કરવાનો સામૂહિક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ જળ સંચય અભિયાનમાં જોડાઈ રહ્યા છે.