જય શાહ માનહાનિ કેસ: ધ વાયરના સંપાદક સહિત 7ને કોર્ટના સમન્સ
જય શાહે ધ વાયર ન્યૂઝ વેબસાઇટ પર બદનક્ષીનો દાવો કર્યો હતો, આ મામલે આમદાવાદની કોર્ટ દ્વારા ધ વાયરના પત્રકાર અને તંત્રીને સમન્સ મોકલવામાં આવ્યા છે.
થોડા સમય પહેલાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપની ટેમ્પલ એન્ટરપ્રાઇઝ પર ધ વાયર નામની ન્યૂઝ વેબસાઇટે અનેક પ્રશ્નો કર્યા હતા. ધ વાયર અનુસાર, એક જ વર્ષમાં ટેમ્પલ એન્ટરપ્રાઇઝ પ્રા. લિ.ના ટર્નઓવરમાં 16 હજાર ગણી વૃદ્ધિ થઇ છે, આ અંગે તેમણે વિગતવાર અહેવાલ છાપ્યો હતો. જેની સામે જય શાહે બદનક્ષીનો દાવો કર્યો હતો. આ મામલે અમદાવાદની અદાલતે ધ વાયરના પબ્લિશર, લેખક અને તંત્રી સહિત સાત લોકો સામે સમન્સ જાહેર કર્યા છે.
એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.કે.ગઢવી દ્વારા આ મામલે 13 નવેમ્બર સુધીમાં જવાબ માંગવમાં આવ્યો છે. આ મામલે પ્રથમદર્શિય રીતે આઇપીસીની કલમ 500 હેઠળ બદનક્ષી થઇ હોવાનું આદાલતે માન્યું હતું. આ કલમ હેઠળ ગુનો સાબિત થતાં બે વર્ષની જેલ અથવા દંડ થઇ શકે છે. આ મામલે પત્રકાર અને લેખક રોહિણી સિંહ, ન્યૂઝ પોર્ટલના સંસ્થાપક સિદ્ધાર્થ વરદરાજન, સિદ્ધાર્થ ભાટિયા, એમ.કે.વેણુ, મેનેજિંગ એડિટર મોબિના ગુપ્તા, લોક સંપાદક પામેલા ફિલીપોસ તથા ધ વાયરનું પ્રકાશન કરતી કંપની ફાઉન્ડેશન ફોર ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિઝમ સામે સમન્સ જાહેર કરવામાં આવ્યા છે.
જય શાહના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, આ લેખ સદભાવના સાથે પ્રકાશિત કરવામાં નહોતો આવ્યો. આ પાછળનો હેતુ જય શાહની બદનામી કરવાનો હતો. સમન્સ જાહેર કરતાં પહેલાં અદાલતે સીઆરપીસીના સેક્શન 200 હેઠળ ફરિયાદ અંગે તપાસ કરાવી હતી કે, આ મામલે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પર્યાપ્ત આધાર છે કે કેમ! અદાલતમાં જય શાહે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે, અહેવાલમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મારી કંપનીનું ટર્નઓવર મારી મહેનત નહીં, પરંતુ અન્ય કારણોસર વધી રહ્યું છે. લેખમાં એક રીતે મારા પિતા સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.